Mysamachar.in-જામનગર:
જૈનોનાં તીર્થધામ પાલિતાણાનાં શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણપાદુકામાં તોડફોડની ઘટના પ્રત્યે રોષ પ્રગટ કરવા આજે શુક્રવારે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક જૈન આગેવાનોએ રેલી અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપ્યા હતા. જામનગરમાં પણ આ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો. અને, અડધો દિવસ જૈન ધંધાર્થીઓએ પોતાનાં ધંધા-રોજગાર બંધ રાખી આ ઘટના અંગે નારાજગી વ્યકત કરી હતી.
આજે સવારે દસેક વાગ્યા પછી શહેરનાં ચાંદીબજાર વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ સ્કૂટર રેલી યોજી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ જોગર્સ પાર્ક નજીક પૂર્ણ થઈ હતી. બાદમાં જૈન સમાજના અગ્રણી ભાઈઓ તથા મેયર સહિતના બહેનોએ કલેકટર કચેરી પહોંચી પાલિતાણા બનાવ અંગે વિરોધ દર્શાવતું આવેદનપત્ર આપ્યું હતું જેમાં કસૂરવારો વિરુદ્ધ પગલાંની માંગણી કરવામાં આવી છે.
રેલી અને આવેદનપત્રનાં આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ મેયર બીનાબેન કોઠારી,રાજુભાઈ શેઠ, કોર્પોરેટર નિલેશ કગથરા ભરતભાઈ વસા, કે.ડી.શેઠ, વી.પી. મહેતા, કિરીટભાઇ મહેતા,અજયભાઈ શેઠ તથા વગેરે હાજર રહ્યા હતાં. કાલે ગુરુવારે જૈન સમાજની બેઠક પણ યોજાઈ હતી. જેમાં આજની રેલી અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો અંગે લેવાયેલાં નિર્ણયો અનુસાર આજે શુક્રવારે આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જૈન ધંધાર્થીઓએ આજે બપોરે બાર વાગ્યા સુધી ધંધા-રોજગાર બંધ રાખવાનાં કાલે લેવાયેલાં નિર્ણય પ્રમાણે આજે સવારથી દુકાનો બંધ રાખી હતી. બંધનાં આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં જૈન સમાજના ધંધાર્થીઓ અને વેપારી સંગઠનો જોડાયા હતાં.