Mysamachar.in:જામનગર
જામનગરમાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મંડળના સંચાલકો – કાર્યકરો સાથે ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના અંગે બેઠક તાજેતરમાં યોજાઈ ગઈ, જામનગર શહેરમાં ધાર્મિક તેમજ અન્ય સેવાકિય કાર્યો સાથે જોડાયેલી સંસ્થાઓ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં ઉજવવામાં આવનારા ગણપતિ મહોત્સવ દરમ્યાન જામનગર શહેરના ગણપતિ મંડળો પર્યાવરણ પ્રત્યે જાગૃતી લાવવા માટે ભાગીદાર બને અને પી.ઓ.પી.ની મૂર્તિના બદલે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે તે હેતુ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં જામનગર શહેરના ગણપતિ મંડળના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
જામનગર ખાતે જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની ઉજવતી સાથે જોડાયેલા ગણપતિ મંડળના સંચાલકોની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટી જીતુ લાલ દ્વારા માનવ જીંદગી અને પર્યાવરણને બચાવવા ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના માટે છેલ્લા છ વર્ષથી સધન પ્રયાસ દ્વારા શહેરમાં 90% ગણપતિ મંડળો ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે જેની હર્ષની લાગણી અનુભવી હતી.
આ મિટીંગમાં જામનગર શહેરમાં ઇકોફ્રેન્ડલી ગણપિતીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો દ્વારા માત્ર અને માત્ર માટીમાંથી બનાવેલી નાની-મોટી સુંદર અને ક્લાત્મક ગણપતિની મૂર્તિઓનું સ્થળ પર જ નિર્દેશન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા ટ્રસ્ટી જીતુ લાલે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે અને માનવ જીંદગીનું જોખમ ન બને તે માટે આ મહોત્સવમાં ઈકોફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરી વિર્સજન જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવતાં વિર્સજન કુંડમાં જ અથવા ઘરે જ વિર્સજન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.