Mysamachar.in:જામનગર
ગઈકાલે જામનગરમાં પડેલ ભારે વરસાદે પ્રિ મોન્સુન કામગીરીની હવા કાઢી નાખી છે, કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં આજે પણ ઘરોમાં પાણી ભર્યા છે જેને કારણે લોકોનો રોષનો ભોગ આજે મંત્રીએ બનવું પડ્યું છે, એવામાં હવે આજે મનપા વિપક્ષ સભ્યોએ આ મામલે ગંભીર આક્ષેપો કરી અને અધિકારીઓ અને કોન્ટ્રાટરોની પ્રિમોન્સુન કામગીરીમાં મિલીભગત સ્પષ્ટ હોય બીલ ના ચુકવવા કમિશ્નરને રજૂઆત કરી છે.
જામનગર શહેરમાં ગઈકાલે ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયેલ અને નિચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયેલ આ બાબતે અગાઉ વિરોધપક્ષ ઘ્વારા કેનાલોની રૂબરૂ મુલાકાત કરવામાં આવેલ અને ત્યારે પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવેલ નથી અને કેનાલોમાં કચરો ભરાયેલ હોય યોગ્ય કામગીરી કરવા તાકીદ કરી હતી પણ કામગીરી યોગ્ય ના થતા શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારો પાણીમાં તંત્રના પાપે ગરકાવ થઇ ગયા…
વરસાદને કારણે જે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ અને જામનગર મહાનગર પાલીકાના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાકટરોની મિલીભગત છતી કરનાર છે. જેથી આવા તમામ કોન્ટ્રાકટરોના બીલ ના ચુકવવા અને જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા આજે વિપક્ષે કમિશ્નર ડી.એન. મોદીને રજૂઆત કરી છે.