Mysamachar.in:જામનગર
જામનગર શહેર મહાનગર બની ચૂકયુ છે. શહેરની વસતિ સાત લાખનો આંકડો વટાવવાની તૈયારીમાં છે. જેને કારણે શહેરમાં ખાણીપીણીનાં ધંધાર્થીઓની સંખ્યા હજારોમાં છે. બીજી તરફ, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ચકાસવા તથા રોકવાની જવાબદારીઓ જેનાં પર છે એ મહાનગરપાલિકાની ફૂડ શાખામાં માત્ર બે જ અધિકારીઓ છે ! આથી જામનગરની ગ્રાહક સંસ્થા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળએ કમિશનરને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે, ફૂડશાખામાં નવા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવે.
શહેરમાં અસંખ્ય હોટેલો છે, ખાણીપીણીનાં હજારો ધંધાર્થીઓ છે, પુષ્કળ સંખ્યામાં ડેરીઓ અને બરફનાં કારખાનાઓ તેમજ મીઠાઈ ફરસાણની ઘણી બધી દુકાનો છે. ખાણીપીણીનાં આ બધાં જ ધંધાર્થીઓ સ્વચ્છતા અંગેનાં તમામ નિયમોનું પાલન કરતાં હોય એવું માની લેવાને કોઈ કારણ નથી. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી જ નથી, એવું છાતી ઠોકીને કોર્પોરેશન કહી શકે ? ખાણીપીણીનાં સેંકડો ધંધાર્થીઓ નગરજનોને વાસી અને અખાદ્ય ચીજો પધરાવતાં હોય છે એવું અનેકવખત રેકર્ડ પર આવેલું છે જ ! આ સ્થિતિમાં લાખો નગરજનોનાં સ્વાસ્થ્ય અને આરોગ્ય અને જિંદગીની સુરક્ષાની જવાબદારીઓ કોર્પોરેશનનાં શાસકો અને તંત્રની છે. આમ છતાં આ મહાનુભાવો કોર્પોરેશનની ફૂડશાખામાં પૂરતી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી શા માટે નથી કરતાં ?!
મહાનગરપાલિકાની ફૂડશાખાને આધુનિક, કાર્યક્ષમ અને અસરકારક બનાવવાની જવાબદારીઓ શાસક અને કમિશનરની છે. પરંતુ તેઓ આ મુદ્દે ગંભીર નથી ! તેથી લાખો નગરજનોનું આરોગ્ય ભગવાનભરોસે છે. આ લાખો નગરજનો મહાનગરપાલિકાને વિવિધ પ્રકારના કરવેરાઓ આપે છે અને સમગ્ર મહાનગરપાલિકા પ્રજાનાં નાણાંથી ચાલે છે છતાં કોર્પોરેશન નગરજનો પ્રત્યે બેદરકાર છે ! ગ્રાહક સુરક્ષા મંડળનાં મંત્રી કિશોર મજીઠીયાએ આ મુદ્દે કમિશનરને લેખિત રજૂઆત કરી ફૂડશાખામાં ઇન્સ્પેક્ટર સહિત કુલ 10 અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી માટે માંગણી કરી છે.