Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ ગતરોજ સ્ટે-કમિટીમાં રજુ થયું તેને લઈને મનપા વિપક્ષ નેતા ધવલ નંદાની પ્રતિક્રિયા સામે આવી છે, તેવોએ જાહેર કરેલ યાદીમાં જણાવ્યું છે કે 53 કરોડના અસહ્ય વેરા લોકો પર ઝીંકી દેવામાં આવ્યા છે, પ્રોપટી ટેક્ષમાં 32 કરોડ અને પાણી વેરામાં 6 કરોડ વધારો જીકાયો છે જે વેરા યોગ્ય નથી ઉપરાંત જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે પણ મુંગેરી લાલના સ્વપ્ન સમાન હોવાનું નંદા એ જણાવ્યું છે, વધુમાં આ યાદીમાં તેવોએ જણાવ્યું છે કે કોર્પોરેશન પાણી આપતી નથી. માંડ માંડ 140 દિવસ પાણી આપવામાં આવે છે અને 365 દિવસનો વેરો વસુલ કરવામાં આવે છે લોકોના ખીસામાંથી પૈસા ખંખેરવા જામનગર મહાનગરપાલિકા માહિર ગણાય છે.
જયારે કોર્પોરેશન જૂની યોજનાઓ પૂરી કરતી નથી છેલ્લા 4 વર્ષ થી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની માત્ર ને માત્ર વાતો થઈ રહી છે તેમજ એનીમલ હોસ્ટેલની વાતો પણ લાંબા સમયથી કાગળ પર જ ચાલી રહી છે, હજુ સુધી ટાગોર હોલ અને સાયન્સ સીટીની વાતો હવામાં જ છે ત્યારે જૂની યોજનાઓમાં ઝડપથી કામ થતું નથી અને નવી યોજનાઓ બજેટમાં લાવીને મુંગેરી લાલના સપના બતાવી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. શહેરના કેટલાક વિસ્તારોમાં લાઈટ,ગટર,અને પાણીની પુરતી સુવિધા પણ નથી. જામનગર મહાનગરપાલિકા સ્માર્ટ સીટી બનાવવાની વાત કરે છે પહેલા તો શહેરના લોકોને દરરોજ પાણી આપો,અને ગટર વ્યવસ્થા યોગ્ય કરો તેમજ નિયમિત સફાઈના કોઈ ઠેકાણા નથી, ખાસ કરીને મિલકત વેરો અને પાણી વેરો અન્ય વેરાઓ સૂચવવામાં આવ્યા છે જે બજેટમાંથી શાશકો દ્વારા દુર કરવા જોઈએ તેવી માંગણી વિપક્ષ નેતા ધવલ નંદા દ્વારા કરવામાં આવી છે.