Mysamachar.in-જામનગર
જામનગરમાં ફાયર શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તહેવારો અને ફટાકડાને ધ્યાનમાં રાખી, સ્ટેન્ડ ટુ પોઝિશન ગોઠવી હતી. દીવાળીની રાત્રિએ શહેરમાં 14 સ્થળોએ આગનાં બનાવો નોંધાયા હતાં પરંતુ સદનસીબે આગનો એક પણ બનાવ ગંભીર ન હતો. માત્ર છમકલાં જ નોંધાતા ફાયરશાખાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે રાતભર આ ચૌદ બનાવોને કારણે ફાયરશાખાએ દોડવું પડ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાએ આજે મંગળવારે સવારે જણાવ્યું હતું કે, સોમવારે દીવાળીની રાત્રિ દરમિયાન શહેરમાં ચૌદ સ્થળોએ આગનાં બનાવો નોંધાયા હતાં. ફાયરશાખાના રિપોર્ટ અનુસાર, જામનગર નજીકના મસીતિયામાં એક રહેણાંક મકાનમાં આગ લાગી છે એવો કોલ આવ્યો હતો પરંતુ ફાયરશાખા પહોંચી તે પહેલાં આ પરિવારે ઘરનાં ફળિયામાં રાખવામાં આવેલી કડબ ( ઘાસચારો) માં લાગેલી આગ બુઝાવી દીધી હતી.
આ ઉપરાંત સમર્પણ હોસ્પિટલ નજીકના વાસા વીરા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. જો કે ફલેટમાલિક હાજર ન હતાં. પાડોશીઓ તથા ફાયરશાખાએ આ આગ બૂઝાવી હતી. આ ઉપરાંત અન્ય એક ડઝન બનાવોની વિગતો જોઈએ તો, દિગ્વિજય પ્લોટ શેરી નં. 53 માં કચરાપેટીમાં, ખોડિયાર કોલોની વિસ્તારમાં કચરામાં, ગીતામંદિર પંચવટી વિસ્તારમાં ખૂલ્લાં પ્લોટમાં પડેલાં પ્લાસ્ટિક નાં દરવાજા સહિતના ભંગારમાં, કાલાવડ નાકા બહાર કૌશલનગરમાં ખુલ્લા પ્લોટમાં, પંચવટી વિસ્તારમાં ડોમિનોઝ પિત્ઝા નજીક કચરામાં, જોગર્સ પાર્ક નજીક સામ્રાજ્ય એપાર્ટમેન્ટ પાસે કચરામાં, સત્ય સાંઈ વિદ્યાલય પાસે કચરામાં, ત્રણ દરવાજા વિસ્તારમાં વાણિયાના વંડા નજીક પૂંઠા નાં કચરામાં,
RTO ની જૂની કચેરી નજીક તળાવ ની પાળ પાસે કચરામાં, વાલકેશ્વર નગરીમાં ખૂલ્લા પ્લોટમાં પડેલાં કચરામાં, કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક વિસ્તારમાં ખૂલ્લાં પ્લોટમાં કચરામાં તથા રામેશ્વર નગર વિસ્તારમાં કે.પી. શાહની વાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ફળિયામાં આગનો બનાવ નોંધાયો હતો. ફાયરશાખાના જણાવ્યા અનુસાર, તમામ ચૌદ સ્થળોએ ખૂબ જ નાની આગ હતી. સદનસીબે, ક્યાંય કશું મોટું નુક્સાન થવા પામ્યું નથી. એ અર્થમાં દીવાળીની રાત્રિ એકંદરે સારી રહી હતી. નગરજનોએ ફટાકડા ફોડવાનો આનંદ માણ્યો, મનભરીને.