Mysamachar.in:જામનગર:
હવા, જમીન અને પાણીનું પ્રદૂષણ સમગ્ર રાજ્યની માફક જામનગર સહિત હાલારમાં પણ બહુ મોટો અને સંવેદનશીલ મામલો હોવા છતાં આ દિશામાં ખાસ કોઈ કાર્યવાહીઓ ન થતાં રાજ્યની વડી અદાલતે કડક વલણ અખત્યાર કરી જામનગરની પ્રાદેશિક કચેરીના અધિકારીઓને કાનૂની સાણસામાં ફીટ કરી દઈ લાખો રૂપિયાનો તોતિંગ દંડ ફટકારતાં સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલો ઘડી ડીટરજન્ટના નામે જાણીતી દ્વારકાની RSPL કંપનીનો છે, જેમાં જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી ફીટ થઈ ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે આવેલી RSPL કંપની પ્રદૂષણ ફેલાવવાના મામલે વર્ષોથી કુખ્યાત છે. અચરજની વાત એ રહી કે, આમ છતાં આ મોટી કંપની વિરુદ્ધ સ્થાનિક તંત્રએ કાયમ કૂણું વલણ અખત્યાર કર્યું. બીજી તરફ આ કંપનીના પ્રદૂષણ કારણે આસપાસના ખેડૂતો વર્ષોથી પરેશાન છે. તેઓની તકલીફો પર કોઈ ધ્યાન આપતું ન હતું. આથી આ ખેડૂતો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યા. અદાલતે જામનગર કચેરીના અધિકારીઓને મોટો દંડ ફટકારી દેતાં હલચલ મચી ગઈ છે.
પાછલાં સાતેક વર્ષમાં આ કંપની વિરુદ્ધ અનેક ફરિયાદ થઈ, રજૂઆત થઈ, આંદોલન થયા, જાહેર સુનાવણીઓ પણ થઈ. આમ છતાં દરેક તબક્કે કંપની સલામત રહી શકી. પ્રદૂષણ પીડિત ખેડૂતોની વેદનાઓ દીવાલ સાથે અથડાતી રહી. તેઓ પર કોઈએ રહેમ ન દાખવી. આખરે મામલો છેક હાઈકોર્ટમાં લઈ જવો પડ્યો. જ્યાં સુનાવણીઓ પણ થઈ. અને, આખરે હાઈકોર્ટે આકરૂં વલણ અખત્યાર કરી હુકમ સુણાવી દીધો.
આ કંપની દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણને કારણે આસપાસના ખેડૂતોની જમીન ખેતીલાયક ન રહી. અહીં RSPL કંપનીનો સોડાએશ પ્લાન્ટ છે. જે પ્રદૂષણ ફેલાવે છે. આ કંપની પોતાનું જોખમી અને રસાયણયુકત પાણી તથા કદડો આસપાસના દરિયાઈ પટ્ટામાં છોડે છે. આ માટે નિકાલની જે કેનાલ છે તે પણ તૂટેલી છે. તેની યોગ્ય જાળવણી ન થતાં જોખમી પ્રવાહી તથા કદડો આસપાસની ખેતીલાયક જમીન પર ફરી વળે છે. આથી ખેડૂતોની ખેતીની આ જમીનો બિનઉપજાઉ અને બિનફળદ્રુપ બની ગઈ. સાતેક વર્ષથી આ ઉપાધિ છે. અનેક વખત રજુઆત અને ફરિયાદ થઈ. પરિણામ કશું જ ન આવ્યું. આથી થાકેલાં, કંટાળેલા અને હતાશ અરજદારો આખરે હાઈકોર્ટમાં ગયા.
કંપનીના પ્રદૂષણને કારણે આસપાસની જમીન, હવા અને પાણીમાં ગંભીર પ્રદૂષણ ફેલાયું. આ બધી બાબતો ડીડીયુ અને જીપીસીબી રિપોર્ટમાં પણ બહાર આવી. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે, પ્રદૂષણ મામલે કંપની વિરુદ્ધ કાર્યવાહીઓ થવી જોઈએ. આ ઉપરાંત આ મુદ્દે નિષ્કાળજી દાખવવા બદલ જીપીસીબી વિરુદ્ધ પણ કાર્યવાહીઓ થવી જોઈએ અને અરજદારોને ન્યાય અપાવવો જોઈએ.
વડી અદાલતમાં સુનાવણીઓ દરમિયાન જીપીસીબીએ એવી દલીલો કરી હતી કે, કંપનીને દંડ, નોટિસ અને ક્લોઝર રિપોર્ટ સુધીની કાર્યવાહીઓ કરવામાં આવેલી. તેની સામે અદાલતે સામો પ્રશ્ન કર્યો કે, આટલી ફરિયાદ છતાં ચાર-ચાર વર્ષ સુધી કચેરી શા માટે બિનકાર્યક્ષમ રહી ? એ વખતે આકરી કાર્યવાહીઓ કેમ ન કરવામાં આવી? આ ઉદાસીનતા ગંભીર છે. આ બધી બાબતો ધ્યાન પર લઈ અદાલતે અધિકારીઓને સબક સમાન રૂ. 20 લાખનો દંડ કર્યો છે. આ રકમ વળતર તરીકે અરજદારોને આપવામાં આવશે. આ ઉપરાંત અદાલતે આ RSPL કંપની મામલે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ હુકમ કર્યો છે કે, સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે.