Mysmachar.in:જામનગર
હાલની સિઝન ખેડૂતો માટે વાડી અથવા ખેતરોમાં કામ કરવા માટેની છે. ભારે વરસાદ પડી રહ્યો હોય, વાડીઓ અને ખેતરોમાં પાણી ભરાઇ રહ્યા છે. તાજેતરમાં જ વાવણી કરવામાં આવી છે. પરંતુ તકલીફ એ છે કે, ખેડૂતોને ખાતર મળતું નથી ! બીજી તરફ પ્રચાર એવો થાય છે કે, રાજ્યમાં ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે ! સાચું કોણ ?! ખેડૂતો કે શાસન ?!
તાજેતરમાં રાજ્યનાં કૃષિમંત્રીએ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. જેમાં કૃષિ વિભાગનાં સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને તથા ખાતર ઉત્પાદક અને વિતરણ કંપનીઓનાં પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવ્યા હતાં અને બેઠક બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. સરકાર સતત ખેડૂતોની ચિંતા કરે છે.
બીજી તરફ : આજે સોમવારે સવારે જામનગરમાં રણજિતસાગર રોડ પર લાલપુર બાયપાસ નજીક આવેલાં GTL કંપનીનાં સરદાર કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે અંદાજે સવાસો જેટલાં ખેડૂતોએ યુરિયા ખાતર માટે હલ્લાબોલ મચાવ્યો હતો ! આ ખેડૂતો કહે છે : અમે દસ દસ દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ. અમોને યુરિયા ખાતરની એક પણ થેલી મળતી નથી. આ કેન્દ્ર પર ખાતરની એક જ ગાડી આવે, જેને પરિણામે ખેડૂતોને ડિમાન્ડ મુજબ ખાતર ઉપલબ્ધ થતું નથી. સંખ્યાબંધ ખેડૂતોએ રોજ ખાતર વિના, ધક્કો ખાઈ પરત ઘરે જવું પડે છે. હાલમાં વાડીખેતરોમાં ખેડૂતોને પુષ્કળ કામ હોય છે, આ સ્થિતિમાં દસદસ દિવસ સુધી ધક્કા ખાવા ખેડૂતોને પોસાતા નથી એમ નિકુંજ કાછડીયા તથા રાજેશભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું છે.
કૃષિ સુવિધા કેન્દ્ર સંચાલક સંદીપભાઈ વામજા કહે છે : ખાતરની અછત છે. કંપનીઓમાંથી જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો આપવામાં આવતો નથી. રોજ માત્ર એક જ ટ્રક આવે છે. આજે સોમવારે ખાતરનો ટ્રક આવ્યો નથી. તેથી અમો તથા ખેડૂતો પરેશાન છીએ.