Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં સેંકડો મેડિકલ કોલેજ એવી છે જેમાં ભણ્યા પછી અથવા અભ્યાસ દરમિયાન, ડોકટરો સ્થાનિક કક્ષાએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા નથી ! જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવા મજબૂત બની શકતી નથી અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓએ નિદાન માટે પણ છેક જામનગર સુધી ધક્કા ખાવા પડે છે ! આ સ્થિતિ હવે દૂર થશે, એવો સંકેત વહેતો થયો છે.
નેશનલ મેડિકલ કમિશને જામનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતની તમામ મેડિકલ કોલેજ(સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ)ને એક પરિપત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપી છે કે, મેડિકલ કોલેજના 2021 પછીની બેચના તમામ PG તબીબોએ ડિસ્ટ્રીકટ રેસિડેન્સ પ્રોગ્રામનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. આ DRP નો મતલબ એવો છે કે, જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજમાં PG અભ્યાસક્રમમાં ભણી રહેલાં તબીબોએ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ મહિના માટે ફરજિયાત સેવા-ફરજ બજાવવાની રહેશે. આ પ્રશ્ન આમ તો જૂનો છે પરંતુ સરકારનાં પરિપત્રનો અમલ કરવામાં આવતો ન હતો. તેથી નેશનલ મેડિકલ કમિશને સ્પષ્ટતા સાથે આ પરિપત્ર પાઠવ્યો છે.
જામનગર મેડિકલ કોલેજના ડીન ડો નંદીની દેસાઈએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, નેશનલ મેડિકલ કમિશન તરફથી આ સૂચના મળી છે. પરંતુ તેનાં અમલ પૂર્વે રાજય સરકારમાં પત્ર લખવામાં આવ્યો છે. ગાંધીનગરથી અમોને આ પરિપત્ર અનુસંધાને જે માર્ગદર્શન આપવામાં આવશે તે મુજબ જામનગર જિલ્લામાં પણ નેશનલ મેડિકલ કમિશનનાં આ પરિપત્રનો અમલ કરાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આ પરિપત્રનો અમલ શરૂ થતાં જામનગર મેડિકલ કોલેજના PG તબીબો નિવાસી તબીબો તરીકે જામનગર જિલ્લામાં ફરજ બજાવશે. અને તેઓની આ ત્રણ મહિનાની સેવાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારોમાં મળશે. કેમ કે, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ આ તબીબોએ નોકરી માટે ફરજિયાત રીતે જવું પડશે. નેશનલ મેડિકલ કમિશનનું આ પગલું દેશભરમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવશે.