Mysamachar.in:જામનગર
રોડ રસ્તાના કામમા કામ થયાના થોડા સમયમાં જ પડતા મસમોટા ગાબડાઓ કાયમી ચર્ચાના ચકડોળે ચઢતા રહે છે, અને આવા કિસ્સાઓમાં બાબુઓની “ભાગબટાઈ” પણ ચર્ચામાં આવે છે. પણ કરોડોના ખર્ચે થયેલ રોડ જુજ મહિનાઓમાં જ ઉખડવા લાગે તો સ્વાભાવિક સવાલો ઉઠે જ…અને ફરિયાદો પણ થાય અને અધિકારીઓને ગલ્લા તલ્લા કરવા પડે….આવો જ એક ચર્ચા જગાવનાર કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જ્યાં નેશનલ હાઈવે હસ્તકનો રોડ બન્યાને માંડ વર્ષ થયું છે ત્યાં જ ગાબડાઓ ભારે ચર્ચામાં આવ્યા છે.
નેશનલ હાઈવે ઓથોરિટી નામની કેન્દ્ર સરકારની એજન્સી જામનગર જીલ્લામાં નેશનલ હાઈવેનું કામ કરે છે. આ એજન્સીએ જામનગરની ઠેબા ચોકડીથી કાલાવડ સુધીનો નેશનલ હાઈવે એક વર્ષ પહેલાં બનાવ્યો છે. કરોડો રૂપિયાનાં ખર્ચથી બનેલો આ રોડ નબળો છે. માત્ર એક જ વર્ષમાં આ કરોડો નાખવામાં આવેલ રોડમાં 8-8-10-10 ઈંચના ખાડાઓ જોવા મળે તેને શું કહી શકાય..!?
આટલાં તોતિંગ ખર્ચથી બનેલો આ રોડ એક જ વર્ષમાં શા માટે તૂટી ગયો ?! નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર રમેશ મોરીએ જે જવાબ આપ્યો તે આશ્ચર્ય પમાડે તેવો પણ છે, તેવો શ્રી કહે છે કે પચાસ ઈંચ જેવો વરસાદ અને વાવાઝોડાં દરમિયાન રસ્તા પર વૃક્ષ પડયા તથા જેસીબી ચાલ્યા તેનાં કારણે રોડ પર ખાડાઓ પડી ગયા..! અધિકારી કહે છે: રોડનો ગેરંટી પિરિયડ ચાલુ હોય, કોન્ટ્રાક્ટર પાસે રોડનું સમારકામ કરાવવામાં આવી રહ્યુ છે. જો કે રજૂઆત કરનાર અરજદાર કિશોર નથવાણી કહે છે: સવાલ સમારકામનો નથી, સવાલ એ છે કે, રોડ એક જ વર્ષમાં તૂટે શા માટે ?! આ પ્રશ્નનો ખરો જવાબ તંત્ર પાસે નથી. અરજદાર તથા આ અધિકારી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રજૂઆત કરનાર સ્પષ્ટ કહે છે કે રોડનું કામ નબળું છે. એક જ વર્ષમાં રોડ ઠેર ઠેર કેવી રીતે તૂટી જાય ?!
આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે, આ રોડનું સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે રોલર નથી ! અરજદાર પૂછે છે: કરોડોના કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે રોલર નથી ?! અધિકારી કહે છે: અમે રોલરનો મેળ કરીએ છીએ ! કામ બંધ છે. અરજદાર કહે છે: કામ રોલર વિના ચાલુ રાખવામાં આવ્યું છે. અરજદારે આ કામનું નિરીક્ષણ કરવા અધિકારીને વીડિયોકોલ કરવા જણાવ્યું તો અધિકારી ગેંગેફેંફે થઈ ગયા, કહે છે અમારી પાસે સ્ટાફ નથી ! સ્ટાફ નથી તો કરોડોનું કામ મોનીટરીંગ વગર કેવું થયું હશે તે આ અધિકારીનો જવાબ આપમેળે સ્પષ્ટ કરી દે છે,
અત્રે સવાલ એ છે કે, કરોડો અને અબજો રુપિયાના કામો કરનાર નેશનલ હાઈવે ઓથોરિટી પાસે સ્ટાફ નથી ! સ્ટાફ ન હોય તો કામ કેવી રીતે થાય ?! કામ પર ધ્યાન કોણ આપે ?! આ નેશનલ હાઈવે એક વર્ષ પહેલાં બન્યો ત્યારે અહીં વર્ક આસિસ્ટન્ટ કોણ હતું ? સુપરવિઝનની જવાબદારી કોની હતી ? રોડ બનતો હતો ત્યારે રોડની કવોલિટી આ નાયબ કાર્યપાલક ઇજનેરે ચેક કરી હતી કે કેમ ? ઇન્સ્પેક્શન રિપોર્ટ શું કહે છે ?! ઇન્સ્પેક્શન કોણે કયારે કર્યું ? રિપોર્ટ ઓફિસમાં બેસીને તૈયાર કરી નાંખવામાં આવ્યો ?! કામની ગુણવત્તા ચકાસીને કોન્ટ્રાક્ટરને બિલોનું ચૂકવણું થયું ? કે તપાસ વિના જ નાણાં ચૂકવાઈ ગયા ?! આ તમામ પ્રશ્નોના જવાબ લોકો સમક્ષ જાહેર થવા જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી વાતો મોટી કરતી હોય છે, આ ઓડિયો ક્લિપ પરથી સમજી શકાય છે કે નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ ઢમ ઢોલ માંહે પોલ જેવું છે !
નવાઈની વાત એ છે કે સરકારનાં પોતાના નિયમ અનુસાર જામનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી પાસે ઓછામાં ઓછો 30 અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ હોવો જોઇએ. હકીકત એ છે કે અહીં માત્ર 3 જણનો સ્ટાફ છે ! હું, ફૂઈ અને રતનિયો અને કોન્ટ્રાક્ટર પાસે રોલર નથી ! કલ્પના કરો, સરકારમાં કરોડોનાં કામો કેવી રીતે થઈ રહયા છે ?!