Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ મતક્ષેત્રના કોંગી ધારાસભ્ય પ્રવિણ મુસડીયા અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા તારીખ 20-04-22 ના રોજ બાલંભા રણજીતપર વિસ્તારમાં જોડિયા તાલુકામાં આવેલ ચોગલે સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જાત તપાસ કરતા કેટલીય અમાનવીય ક્ષતિઓ જોવા મળેલ છે. જેને લઈને આજે ધારાસભ્યની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્યએ મીડિયા સાથેની વાતચીતમાં ત્યાં સુધી કંપનીને કહી દીધું કે અમારે કંપનીનું કાઈ જોતું નથી, અમે લાલચુ અને સ્વાર્થી નથી, અને પૈસા કમાવવા મેદાનમાં નથી ઉતર્યા તેવી સ્પષ્ટતા પણ તેને કરી દીધી છે.આજે આપવામાં આવેલ આવેદનપત્રના મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો…
-અમોએ રૂબરૂ જઈ પૂછતા જાણવા મળેલ કે તેઓને પુરતું ભોજન પણ મળતું નથી અને વ્યક્તીદીઠ 320 દૈનિક મહેનતાણું આપાઈ રહ્યું છે. મજૂરો માટે વ્યવસ્થિત રહેવાની સગવડ નથી અને કામ કરતા મજૂર માટે સેફ્ટીના સાધનો બેલ્ટ, બુટ-મોજા કે હેલ્મેટ જેવા કોઈ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવેલ નથી.
-મજૂરો માટે શૌચાલય કે બાથરૂમની વ્યવસ્થા નથી. જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તે ડેમેજ થઈ ગયેલ અને ગંદકીભર્યા જોવા મળી રહ્યા છે.
-મજૂર માણસો માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જે પાણી પીવામાં આવી રહ્યુ હતું તે ખૂબ જ ગંદું અને દુર્ગંધ મારી રહેલું પાણી હતું, જે અમોએ જાતે તપાસ કરી અને જોયેલું છે. આવુ પાણી પીવડાવવાથી આ મજૂરોના આરોગ્ય પર ખતરો ઊભો થાય તેમ છે અને બીમાર પણ પડી રહ્યા છે. હાલ પણ મજૂરો બીમાર અને કુપોષિત અવસ્થામાં હોય તેમ સ્પષ્ટ રીતે દેખાચ રહ્યું છે
-મજૂરોનું પીએફ આપવામાં આવતું નથી, પૂરતા પ્રમાણમાં પગાર વેતન પણ આપવામાં આવતું નથી. રૂબરૂ જઇને પૂછતા મજૂરોને સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સતત બાર કલાક કામ કરાવી અને મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કામના કલાક ના પ્રમાણમાં તેમને વેતન નહીં ચૂકવવામાં આવી રહ્યું છે આ મજૂરોને આખા દિવસને માત્ર 320 રૂપિયા ચૂકવી તેમનું શોષણ થઈ રહ્યું છે નિયમ મુજબ આઠ કલાકના 577 રૂપિયા ચૂકવવા જોઈ તેના બદલે માત્ર તને 320 રૂપિયા ચૂકવી અને મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યા છે.
-મજૂરોના સંતાનો માટે અભ્યાસની કોઇ વ્યવસ્થા નથી. આ કંપની આજુબાજુના ગામો બાલંભા રણજીતપર અને કેશિયા જે કંપની થી 25 થી 30 કિલોમીટર દૂર આવેલા છે. ઉપરાંત મજુરોના સંતાનો માટે કંપનીની અંદર કોઈ પાઠશાળા નહી હોવાના લીધે અને આ કંપની ની આજુબાજુના ગામ માં રહેલ નિશાળો 25થી 30 કિલોમીટરના દૂર અંતરે હોવાના લીધે આ બાળકોનું ભવિષ્ય અભ્યાસ નહીં લેવાના લીધે સમાપ્ત થઈ રહ્યું છે. અમો રૂબરૂ જઇને તપાસ કરતા જાણવા મળેલ છે કે આ કંપનીમાં કામ કરતા મજૂરો ના બાળકો અભ્યાસ કરતા નથી અભ્યાસથી વંચિત રહી ગયેલ છે.
-આ કંપની ધ્રોલ જોડીયા અને જામનગરથી આશરે 70 થી 90 કિલોમીટર દૂર હોવાથી મજુરોના કે માણસોને તાત્કાલિક કોઈ અકસ્માત થાય તો ત્યાં સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ કે કંપનીની અંદર કોઇ દવાખાનાની સગડતા ઉભી કરવામાં આવેલ નથી.
-મંજૂરોને ખરીદી કરવા કંપનીમાંથી દૂર બહાર જવાનું હોય જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે કંપનીની બાર 25 કિલોમીટર દૂર જવા માટે ઘોડા ગાડી કે કોઈ અન્ય પ્રકારની સુવિધા આપવામાં આવેલ નથી.
આમ આ તમામ બાબતો ધ્યાને લઇ મજૂરો અને ગરીબ લોકોના રક્ષણ માટે આ કંપની, જે પુષ્કળ પ્રમાણમાં નફો કરે છે તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લઈને નોટિસ આપી અને કંપનીને સીલ મારવાની રજૂઆત છે.આ ઉપરાંત આ કંપનીને 5000 એકર જગ્યા આપવામાં આવેલી છે તે જગ્યાની બોડર લઇન નક્કી કરવા માટે, હદ દીસા દર્શાવતા કોઇપણ પ્રકારના ચીહ્ન કે દડિયો ખોડવામાં આવેલી નથી.