Mysamachar.in:જામનગર
આજથી છ વર્ષ પહેલાં ‘પાસ’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નાં તત્કાલીન કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ જામનગર જિલ્લામાં નોંધાયેલા એક કેસનો ચુકાદો આજે જામનગરની અદાલતમાં આવ્યો છે. અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું છે કે, આ કેસમાં હાર્દિક પટેલનો છૂટકારો ફરમાવવામાં આવે છે. આ કેસની ટૂંકી અને જાહેર થયેલી વિગતો એવી છે કે, ગત્ તા. 04-11-2017 નાં દિવસે પાસ કન્વીનર હાર્દિક ભરતભાઈ પટેલ તથા કન્વીનર અંકિત નારણભાઈ ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી મોહનભાઈ ભીમાણીની વાડીએ પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતોનાં પ્રશ્નોને લગતી પ્રશ્નોનાં નિરાકરણ માટે એક સભા યોજવામાં આવી હતી.
આ સભામાં લાઉડસ્પીકર, વિડિયોગ્રાફી, પંચો તથા સાહેદોના નિવેદનોના આધારે વિવાદાસ્પદ ભાષણો અંગે, આ સભાનાં આયોજન ગત્ તા. 12-01-2018 નાં દિવસે જામનગરનાં પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત સભા બાબતે હાર્દિક પટેલ તથા અંકિત પટેલ વિરૂદ્ધ જીપી એકટની કલમ-36(3) તથા 72(2) તથા કલમ-134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાછલાં છ વર્ષ દરમિયાન હાર્દિક પટેલ વચ્ચે થોડો સમય પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા. હાલ તેઓ ભાજપાનાં વિરમગામના ધારાસભ્ય છે. થોડાં દિવસો પહેલાં તેઓને જામનગરની અદાલતમાં ઉપરોક્ત કેસ સંબંધે ફાઈનલ સુનાવણીમાં બોલાવવામાં આવ્યા પછી, આજે જામનગરમાં અદાલતે આ કેસનો ચુકાદો આપ્યો.
આ કેસનો ચુકાદો આજે શુક્રવારે સવારે જામનગરમાં એડિશનલ ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ એમ.ડી. નંદાણીની અદાલતમાં જાહેર કરવામાં આવ્યો. આ કેસમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન મુદતોમાં સર્કલ ઓફિસરો, પંચો, સાહેદો તથા વિડીયોગ્રાફર, ડીવીડી અને સીડી તપાસવામાં આવ્યા હતાં. ત્યારબાદ આરોપીઓ હાર્દિક પટેલ અને અંકિત પટેલનાં વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. બાદમાં આજે અદાલતે આ બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસ અગાઉ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો. અદાલતે ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત પટેલનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીઓ તરફથી વકીલ દિનેશ વિરાણી તથા વકીલ રશીદ ખીરા રોકાયા હતાં.