Mysamachar.in-જામનગર:
ગુજરાત અને ભારતનો હવામાન વિભાગ વધુને વધુ ચોક્કસ બની રહ્યો છે, આગાહીઓ મુજબની વાતાવરણની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું તે અનુસાર 25 તથા 26 મી એ હાલાર સહિત સમગ્ર રાજયમાં માવઠું થયું અને હવામાન વિભાગ દ્વારા આજે 27 મી નવેમ્બર માટે પણ માવઠાંની આગાહી કરવામાં આવી છે. આજે પણ જામનગર અને દ્વારકા સહિત સમગ્ર રાજયમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, આ હવામાન પલટાથી ખેડૂતો સહિત સૌ પરેશાન છે કેમ કે બીજી તરફ શિયાળાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સરકયૂલેશનને કારણે સમગ્ર રાજયમાં મોટાભાગના તાલુકાઓમાં માવઠું થયાના અહેવાલો છે. વાડીખેતરોના ચાસ વરસાદી પાણીથી લબાલબ ભરેલાં જોવા મળી રહ્યા છે. કેટલાંક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તો રોડ અને રસ્તાઓ પર પાણી પણ વહેતાં જોવા મળે છે. અને દક્ષિણ ગુજરાતમાં તો અમુક સ્થળે લોકોને નીચાણવાળા અથવા નદીકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર પણ કરાવવું પડ્યું છે. સમગ્ર રાજયની સાથે જામનગર સહિત સમગ્ર હાલારમાં છૂટાંછવાયા વિસ્તારોમાં માવઠાં થયાનો રિપોર્ટ છે.
જિલ્લાકક્ષાએથી મળી રહેલાં રિપોર્ટ અનુસાર, કાલે રવિવારે જામનગર તાલુકામથકે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 5 મિમી વરસાદ નોંધાયો. આ ઉપરાંત કાલાવડ તાલુકા મથકે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 9 મિમી અને આ જ સમયગાળા દરમિયાન લાલપુર તાલુકામથકે 10 મિમી વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે.કાલાવડ અને લાલપુર ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં વરસ્યો છે, કાલની માફક આજે પણ સમગ્ર શહેર અને જિલ્લામાં વરસાદ પડી શકે તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે, આ ઉપરાંત હવામાન વિભાગે આજે સોમવારના માવઠાં માટે પણ આગાહી કરેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સરકયૂલેશનને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ વરસી શકે છે એવી આગાહી 27 નવેમ્બર સુધીની કરવામાં આવેલી છે અને આ પ્રકારનું વાતાવરણ પણ જામનગર સહિત સર્વત્ર જોવા મળી રહ્યું છે.
દરમિયાન, જામનગર જિલ્લા માફક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કાલે રવિવારે ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો છે. આજે પણ આ જિલ્લામાં વાતાવરણ વધુ એક માવઠું થઈ શકે તેવું જોવા મળી રહ્યું છે. રવિવારનું માવઠું ખંભાળિયા પંથક માટે જિવલેણ પૂરવાર થયું. ખંભાળિયા તાલુકાના ઉગમણાંબારા ગામના એક ખેતરમાં વીજળી ત્રાટકતાં પાર્થરાજસિંહ જાડેજા નામના 12 વર્ષના તરુણનું મોત નીપજયું છે. અને, વિશાલસિંહ રાઠોડ નામનો અન્ય એક તરુણ આ વરસાદી વીજને કારણે ઘાયલ થતાં તેને ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગરના જાખર, સિક્કા, પડાણા અને મેઘપર સહિતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત દ્વારકા જિલ્લાના વાડીનાર તેમજ સિંગચ,ભરાણા,ટીંબડી,કજૂરડા અને માંઢા ઉપરાંત નાના તથા મોટા આંબલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડયાના અહેવાલો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ છે. દરમિયાન, કાલે રવિવારે બપોરથી રાત્રિ સુધી વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રાજયના વિવિધ વિસ્તારોના વરસાદના તેમજ બરફના કરાંના સેંકડો વીડિયોઝ પણ વાયરલ થયા હતાં. હવામાન વિભાગે રાજયના કેટલાંક વિસ્તારો માટે આજે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયના ઘણાં વિસ્તારોમાં તો પવનની ગતિ 30 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળતાં હજારો વૃક્ષોની ડાળીઓ પણ હાઈવે પર પડેલી જોવા મળે છે. હવામાન વિભાગ અનુસાર, આજે જો કે વરસાદી પવનનું જોર ઘટી જશે, આમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી વરસાદ આવી શકે છે.