Mysmachar.in:જામનગર
જામનગરમાં સરૂ સેકશન રોડ પર આવેલા જિલ્લા સેવા સદન ખાતે વિવિધ કચેરીઓ કાર્યરત છે. આ કચેરીઓએ દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવતાં હોય છે. આ અરજદારોને પોતાનાં જુદાં જુદાં પ્રકારનાં સરકારી કામો નિપટાવવા વિવિધ પ્રકારના દાખલાઓની જરુરત હોય છે. આ કચેરીઓ પૈકી શહેર મામલતદાર કચેરી લોકોને સરકારી દાખલાઓ કાઢી આપવામાં નંબર વન હોવાનું સમજાઈ રહ્યું છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવતાં પૂર્વે અરજદારોએ આવકનાં દાખલા, ડોમિસાઈલ પ્રમાણપત્રો તથા નોન ક્રીમીલેયર સંબંધેના દાખલાઓ મેળવવા જરૂરી હોય છે. ઘણાં સમય પહેલાં આ બધી કામગીરી સંબંધે અરજદારોને હાલાકીઓ વેઠવી પડતી હતી. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી શહેર SDM કચેરી હેઠળની મામલતદાર કચેરી ખાતે આ કામગીરી માટે સરળ અને ઝડપી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને કારણે હજારો અરજદારોને રાહત મળી છે.
આવકનાં દાખલા ખૂબ જ મહત્વની બાબત છે. હાલમાં સમગ્ર જિલ્લામાં રોજ આવકનાં જેટલાં દાખલા નીકળે છે તેનાં કરતાં બમણી સંખ્યામાં આવકનાં દાખલાઓ સિટી મામલતદાર કચેરીમાં આપવામાં આવી રહ્યા છે. અરજદારોના કામો ભલામણો વિના જ, નિયમાનુસાર અને સમયસર થઈ રહ્યા છે. માત્ર રૂ. 20ની નિયત ફી અને વિનામૂલ્યે આપવામાં આવતાં ફોર્મની મદદથી કોઈ પણ અરજદાર જરૂરી આધારપુરાવા રજૂ કરી, એક જ દિવસમાં દાખલો મેળવી શકે છે. આ વ્યવસ્થાને કારણે લોકોને ઘણી રાહત મળી છે. મામલતદાર કચેરીનો નીચલો સ્ટાફ આ માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યો છે.
આ ઉપરાંત સિટી મામલતદાર કચેરી હસ્તકના ડોમિસાઈલ પ્રમાણપત્રો તથા નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ મેળવવા પંદરેક દિવસનો સમય વ્યતીત થતો હતો. જેને કારણે ઘણાં અરજદારોના ઈમરજન્સી કામોમાં વિલંબ થતો હતો અને કામો અટકી પણ પડતાં હતાં. અગાઉ આ દાખલાઓ અરજદારોને પોસ્ટ મારફતે જ મોકલવામાં આવતાં હતાં. હાલમાં અરજદારોને આ પ્રકારના દાખલાઓ માત્ર 48 કલાકમાં મળી જાય છે અને જે કિસ્સાઓમાં અરજદાર કચેરીએ આવી શકતાં નથી તેવાં સેંકડો અરજદારોને આ દાખલાઓ ઘરે બેઠા પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવે છે. આ પ્રકારની કામગીરીઓમાં વચેટિયાઓની આપોઆપ બાદબાકી થઇ જવા પામી છે કેમ કે, લોકોનાં કામો નિયમાનુસાર અને સમયસર થઈ રહ્યા છે.
-અરજદારોની સગવડતા માટે….
અલગ અલગ પ્રકારના દાખલાઓ માટે આવતા અરજદારોને હાલાકીના ભોગવવી પડે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી અરજદારો માટે કચેરી સમય કરતા એક કલાક પૂર્વે જ તમામ કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે જેને કારણે અરજદારોને જોઈતા તમામ પ્રમાણપત્રો સમયસર મળી જાય છે.