Mysamachar.in-જામનગર:
જામનગર અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં રઘુવંશી સમાજ વેપાર ઉદ્યોગ અને શિક્ષણ વગેરે દ્રષ્ટિએ આગળ પડતાં સમાજોમાં સ્થાન ધરાવે છે અને સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુની વસતિ ધરાવે છે, આ સમાજ સેવાકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે, આ ઉપરાંત લોહાણા સમાજ વિશ્વના લગભગ બધાં જ દેશોમાં ભારતીયતા અને ગુજરાતીપણાંનું પ્રતિનિધિત્વ નિભાવે છે, આમ છતાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રમાં રઘુવંશી સમાજને યોગ્ય અને અપેક્ષિત પ્રતિનિધિત્વ આપવામાં આવતું ન હોય, સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજની સૌથી મોટી સંસ્થા હોવાનું બહુમાન ધરાવતી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ આ મુદ્દે વડાપ્રધાન સહિતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને ખાસ પત્ર પાઠવી, સમાજની લાગણીઓ વ્યક્ત કરી, જૂનાગઢ લોકસભા બેઠકની ટિકિટ રઘુવંશી સમાજને આપવા અંગે આગ્રહપૂર્વકની માંગ કરી છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને આ પત્ર પાઠવ્યો છે. આ પત્ર 22 માર્ચ, 2024ના દિને લખાયેલો છે. જેમાં લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ તરફથી લોહાણા સમાજને ઉમેદવારી આપવા અંગે વિસ્તૃત વિગતો લખવામાં આવી છે. લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ આ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં લોહાણા સમાજના ઉમેદવારના નામાંકન અંગે, આ અગાઉ પણ સંસ્થા તરફથી 28 ફેબ્રુઆરીએ આપને પત્ર લખવામાં આવેલો જેમાં આ બાબતે સમગ્ર લોહાણા સમાજ વતી આપને અપીલ કરવામાં આવી હતી.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાતમાં ભાજપએ 26 પૈકી 22 લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યમાં અન્ય બેઠકો પર વિવિધ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જેમાં લોહાણા સમાજને પ્રતિનિધિત્વ અપાયું નથી. તેથી બાકી રહેતી 4 બેઠક પૈકી જૂનાગઢ બેઠક પર લોહાણા સમાજના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવે એવી લાગણીસભર વિનંતી છે.
જૂનાગઢ ખાતે સામાજિક સેવાઓ સબબ તમામ જ્ઞાતિઓમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતાં લોહાણા સમાજના આગેવાનને ભાજપ તરફથી જૂનાગઢ લોકસભાની ટિકિટ ફાળવવામાં આવે તો, રાજ્યમાં 35 લાખની વસતિ ધરાવતાં લોહાણા સમાજના પ્રત્યેક વ્યક્તિમાં નવી ઉતેજના અને ચેતનાનો સંચાર થશે અને સમગ્ર લોહાણા સમાજ કાયમ માટે આપનો ઋણી રહેશે.
પત્રના અંતમાં જણાવાયું છે કે, આપ હંમેશા અમોને પ્રોત્સાહિત કરતાં રહ્યા છો. આ વખતે પણ આપના તરફથી અમોને પ્રોત્સાહન મળશે એવી અમને પૂર્ણ શ્રધ્ધા છે. લોહાણા સમાજની આ લાગણી સમજી સ્વીકારી એક તક આપવામાં આવશે એવી આશા પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી ખૂબ જ પ્રભાવશાળી, સાલસ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે, સમગ્ર લોહાણા સમાજમાં આદર ધરાવે છે અને દાયકાઓથી બિનવિવાદાસ્પદ અગ્રણી તરીકે નામના ધરાવે છે. અને, આ પત્રમાં તેઓએ સુંદર રીતે વાજબી અપેક્ષા વ્યક્ત કરી, સમગ્ર રઘુવંશી સમાજની ઉંડી લાગણીઓને સમયોચિત અભિવ્યક્તિ આપી છે.