Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જમીન માપણી કામગીરી વારંવાર ચર્ચામાં ચમકતી રહે છે ! બીજી બાજુ અધિકારીઓ બધું બરાબર ચાલી રહ્યું છે એવું સરકારી વાજું વગાડી રહ્યા છે. અને, એ પણ નોંધનીય છે કે – ખુદ કેબિનેટ મંત્રી આ મુદ્દે, ખાસ કરીને જામનગરમાં, વારંવાર સમીક્ષા બેઠક યોજી રહ્યા છે. અને દરેક બેઠકમાં મંત્રીએ અધીકારીઓને સૂચના આપવી પડે છે કે, ખેડૂતો સહિતનાં લોકોની રજૂઆતોનો તાકીદે નિવેડો આવવો જોઈએ. ઉપરાંત મંત્રીએ બેઠકમાં એમ પણ કહેવું પડે છે કે, લોકોને સંતોષ થાય તે રીતે અરજીઓનો નિકાલ થવો જરૂરી છે.
ખુદ કેબિનેટ મંત્રીએ આ પ્રકારની સૂચનાઓ, કલેકટરની ઉપસ્થિતિમાં, લેન્ડ રેકર્ડ કચેરીનાં અધિકારીઓને આપવી પડે છે અને એ પણ વારંવાર ! તેનો સીધો અને સાદો અર્થ એ થાય છે કે, જામનગર લેન્ડ રેકર્ડ કચેરીની કામગીરીથી મંત્રી (એટલે કે સરકાર) અને અરજદારોને સંતોષ નથી ! બીજી બાજુ લેન્ડ રેકર્ડ કચેરીનાં અધિકારી આ જ બેઠકમાં પોતાની કામગીરી અંગે ડાહી ડાહી વાતો કરે છે ! તેનો અર્થ એ થાય કે, આ અધિકારી સરકારને એટલે કે સરકારનાં સીધાં પ્રતિનિધિ એવા કેબિનેટ મંત્રીને ગેરમાર્ગે દોરી રહ્યા છે ! આ સ્થિતિમાં કલેકટર ધારે તો સ્થાનિક કચેરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે. અથવા, લેન્ડ રેકર્ડ કચેરીનાં અધિકારીની ઉલટતપાસ પણ કરી શકે. પરંતુ આ પ્રકારની બેઠકો વારંવાર યોજાઈ રહી હોય, અરજદારોમાં એવા સંકેતો જાય છે કે, આ પ્રકારની બેઠકો નિરર્થક છે ! કારણ કે, સમસ્યાઓ ઠેરની ઠેર છે !
અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન માપણી કામગીરી અને રિ સર્વે કોઈનાં માટે નવાઈની વાત નથી. વર્ષોથી આ ગીતડાં ગવાઈ રહ્યા છે. હજારો વાંધાઅરજીઓ થતી રહે છે. બહારગામથી નવા નવા કર્મચારીઓને જામનગર લેન્ડ રેકર્ડ કચેરી ખાતે મોકલવામાં આવી રહ્યા છે. છતાં પણ ક્યાંય, કશું સંતોષજનક કામ થતું નથી ! અને, અચરજની વાત એ પણ છે કે – આ કામ માટેની ખાનગી એજન્સીનો આટલાં વર્ષોમાં વાળ પણ વાંકો થયો નથી ! મતલબ, ગાંધીનગર આ આખાં ખેલમાં અલગ રીતે રમે છે ! અને તેથી લેન્ડ રેકર્ડ કચેરીનાં અધિકારીઓ કોઈને પણ ગણકારતા નથી. સૂચનાઓને પણ અવગણે છે ! અને, સૂત્રો તો ત્યાં સુધી કહે છે : જમીન માપણી વિભાગમાં લાખો અને કરોડો રૂપિયાનાં સેટિંગ અને કૌભાંડ પણ આચરવામાં આવી રહ્યા છે ! જેની ખરેખર તો તપાસ થવી જોઈએ. રાજય સરકાર જામનગર લેન્ડ રેકર્ડ કચેરીનાં મુખ્ય અધિકારી વારંવાર બદલી શા માટે નાંખે છે ?! તે મુદ્દો પણ જાણકારોનાં મતે રહસ્યમય લેખાવી શકાય !
-લેન્ડ રેકર્ડ કચેરીનાં અધિકારી કહે છે…
જામનગર કલેકટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેન્ડ રેકર્ડ કચેરીનાં મુખ્ય અધિકારી ફોરમ કુબાવત બોલ્યા : તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. કચેરીમાં સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે ધ્યાન આપવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા માપણી પ્રક્રિયા ચાલુ છે. ખાસ સ્ટાફ કામગીરી કરે છે. માઈક્રો પ્લાનિંગથી કામગીરી કરવામાં આવી રહી છે.
આ તકે પ્રશ્ન એ છે કે, અધિકારી કહે છે એમ બધું બરાબર છે તો પછી કેબિનેટ મંત્રીએ વારંવાર સૂચનાઓ શા માટે આપવી પડે છે ? અરજદારોએ શા માટે રજૂઆતો કરવી પડે છે ? અરજદારોને કચેરીની કામગીરીથી સંતોષ શા માટે નથી ? આ તમામ પ્રશ્નોના જવાબો ક્યાંય જાહેર થતાં નથી ! જે દર્શાવે છે કે, લેન્ડ રેકર્ડ કચેરીનાં રસોડામાં કશુંક રંધાઈ રહ્યું છે જેની ખુશ્બો છેક રાજકોટ પ્રાદેશિક કચેરી સુધી પણ પહોંચી છે !