Mysamachar.in:જામનગર
જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ ઉર્ફે જાડા, શહેરના તત્કાલીન કમિશનર ખરાડીના ચેરમેનપદ દરમિયાન, તાજેતરના ભૂતકાળમાં અત્યંત વિવાદમાં રહ્યું. ઝોનફેર અને મનસ્વી દસ્તાવેજના પ્રકરણ ખાસ કરીને વધુ વિવાદી અને નાણાંકીય લેતીદેતી મામલે વધુ ગાજેલાં. વધુ એક વખત જમીનોના દસ્તાવેજનો આ મામલો આગામી 4 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી પર આવનાર છે.
‘જાડા’એ થોડાં મહિનાઓ પહેલાં લાલવાડી વિસ્તાર નજીકની કેટલીક જમીનોના દસ્તાવેજ મનમાની રીતે કરી આપ્યા હતાં. જે દસ્તાવેજો રદ્દ કરવાનો નોંધપાત્ર ઠરાવ ખુદ રાજય સરકારે જેતે સમયે કરેલો જેને કારણે જામનગરમાં સોપો પડી ગયો હતો. આ પ્રકરણમાં કેટલાંક અરજદારો (એટલે કે જેઓએ જે તે સમયે દસ્તાવેજ કરાવી લીધાં હતાં) હાઈકોર્ટમાં ગયા છે. જો કે ‘જાડા’એ આ મુદ્દે કેવિયેટ દાખલ કરેલી જ છે એટલે ‘જાડા’ને સાંભળીને બાદમાં જ હાઈકોર્ટ આ બાબતમાં કોઈ પણ નિર્ણય જાહેર કરશે. આગામી 4 ઓક્ટોબરે સુનાવણી છે, જેનાં પર સૌની નજર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કિંમતી જમીનોના ગેબી પ્રકારના આ દસ્તાવેજો જેતે સમયે જૂના અને નીચા ભાવે થયેલાં. જેમાં ખુદ ભારત સરકારના એક વિભાગે કહેલું કે, આ મામલામાં સરકારની તિજોરીને નુકસાન થયું છે. સાદું ગણિત એ પણ છે કે, એક તરફ થયેલું નુકસાન બીજી તરફ કોઈ અથવા ઘણાં લોકો માટે ‘ફાયદો’ હોય શકે છે. જેતે સમયે આ ફાયદાના મામલાઓ પણ ગાજયા હતાં. જો કે આખરે સરકારે આ દસ્તાવેજો 2023માં રદ્દ કર્યા હતાં, જે અગાઉ 2022માં જાડામાં રૂપિયા 500-600 કરોડનો આ ખેલ પડયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ‘જાડા’ ખુદ જેતે સમયે શંકાના સ્કેનર હેઠળ હતું અને એ પ્રકારના રિપોર્ટ અને સરકાર સમક્ષની રજૂઆતોને કારણે આ પ્રકરણ બહાર આવ્યા બાદ સરકારે દસ્તાવેજો રદ્દ કરેલાં. હવે અરજદારો સરકારને આ મુદ્દે પડકારી રહ્યા છે ત્યારે ‘જાડા’ પ્રતિપક્ષ મૂકશે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ દસ્તાવેજો થયા એ પહેલાં અરજદારો બે વખત સ્થાનિક અદાલત અને વડી અદાલત સ્તરે આ મામલામાં જુદી ફાઈટ પર પાછાં પડયા હતાં. અને આ વખતે ખુદ ‘જાડા’એ કેવિયેટ કરી હોય, જો 4 ઓક્ટોબરે વડી અદાલતમાં સુનાવણી થશે તો, નિશ્ચિત રસપ્રદ હશે. Mysamachar દ્વારા આ કેસની અદાલતી કાર્યવાહીઓ અને સમયપત્રક અંગે ‘જાડા’ના મુખ્ય અધિકારી જિજ્ઞાસા ગઢવી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી તે દરમિયાન તેઓએ આગામી સુનાવણી અંગે જણાવ્યું હતું.