Mysamachar.in-જામનગર:
રૂપાલાના વિવાદીત નિવેદનનો પડઘો શમવાનું નામ લેતો નથી અને આગામી લોકસભા ચૂંટણીઓમાં પણ ક્ષત્રિયોનો આ રોષ મતપેટીઓમાં પડઘાવાનો છે.અને આ વિવાદ ગામે ગામે સુધી પહોચી રહ્યો છે, એ માટે ક્ષત્રિય સમાજે તૈયારીઓ કરી લીધી છે, સરકાર તથા ભાજપાએ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજની લાગણીને સમજી નથી એ મુદ્દે ક્ષત્રિયોએ ભાજપાની વિરુદ્ધ તોતિંગ મતદાન કરવાનો નિર્ણય લઈ લીધો છે અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી પી.ટી.જાડેજાએ કાલે સોમવારે જામનગરમાં રાજપૂત સમાજ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને એલાન કર્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજ બહોળા પ્રમાણમાં ભાજપા વિરુદ્ધ મતદાન કરશે. આ પત્રકાર પરિષદમાં હાલારના ક્ષત્રિય આગેવાનો ગોવુભા જાડેજા અને પી.એસ.જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
પી.ટી.જાડેજાએ જણાવ્યું હતું કે, ગામેગામ તથા તમામ શહેરોમાં ક્ષત્રિય સમાજની સમિતિઓ બનાવી છે. દરેક સમિતિમાં એક પ્રમુખ અને દસ દસ સભ્યો નીમવામાં આવ્યા છે. આવતીકાલે 24 એપ્રિલથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ઘૂમશે. આ ધર્મરથનો પ્રારંભ યાત્રાધામ દ્વારકાથી પ્રસ્થાન કરશે. શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદાઓમાં રહીને ગામેગામ આંદોલન ચલાવવામાં આવશે.
પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે, રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. નાની નાની દીકરીઓ પણ “રૂપાલા હાય હાય અને જય ભવાની, ભાજપા જવાની” એવો સૂત્રોચ્ચાર કરી રહી છે. રાજપૂત સમાજની સંકલન સમિતિમાં બે ભાગ છે તેવો અપપ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે, જે હકીકત નથી. સંકલન સમિતિ બિનરાજકીય અને સામાજિક સંગઠન છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાએ ક્ષત્રિય સમાજની લાગણીઓ ધ્યાન પર લીધી નથી તેથી હવે સાત મે સુધી આંદોલન ચાલશે અને સાતમીએ બેટી બચાવવા મતપેટીઓ છલકાવી દેવામાં આવશે. આ રોષ મતદાનમાં દેખાશે. અમોએ રાજપૂત બહેનોને કહ્યું છે કે, તમારે લડવાની જરૂર નથી, તમે ઘર સંભાળો અમે ભાઈઓ કેસરિયા કરવા મેદાનમાં છીએ. અમો લડાઈ લડી લેશું. ભાજપાને ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર હરાવીશું. ભાજપાની વિરુદ્ધ મતદાન માટે તમામ અઢારે વર્ણનો સહયોગ મેળવવામાં આવશે.
-સિકકામાં પણ રૂપાલા હાય હાય..
જામનગર નજીકના સિક્કા ગામમાં કાલે સોમવારે ભાજપાની એક સભાનું આયોજન કરવામાં આવેલું. આ સભાના સ્થળ નજીક રાજપૂત યુવાનો દ્વારા જય ભવાની ભાજપા જવાની અને રૂપાલા હાય હાય ના સૂત્રો પોકારવામાં આવતાં સિક્કા ભાજપામાં દોડધામ મચી ગઈ હતી અને યુવાનોને વિખેરવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.