Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ આકરાં પાણીએ છે અને રૂપાલાના ‘રાજકીય વધ’ ની તીવ્ર માંગ વચ્ચે, જામનગર જિલ્લા BJPના રાજપૂત મહામંત્રીએ સમાજની પડખે રહી પક્ષના મોભી એવા વડાપ્રધાનને ખુલ્લો પત્ર પાઠવતાં સમગ્ર ગુજરાત ભાજપમાં વમળો ઉઠ્યા છે. આ પત્રમાં તેઓએ ખુદના પક્ષ પર ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે, જેને પરિણામે હવે જામનગરથી નવો વિવાદ શરૂ થયો છે, ભાજપામાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપવાની બાબતમાં પક્ષ પક્ષપાત રાખે છે, એવી અંદરની વાત બહાર આવી ગઈ છે.
જામનગર જિલ્લા ભાજપાના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ રૂપાલાને તો પત્ર લખ્યો જ છે, સાથેસાથે વડાપ્રધાનને પણ લાંબો પત્ર લખ્યો છે, જેને કારણે આ પત્ર સમગ્ર રાજ્યમાં વાયરલ થયો છે. આ પત્રમાં પ્રવિણસિંહ જાડેજાએ પોતે ભાજપાના પદાધિકારી હોવા છતાં લખ્યું છે કે, એક જમાનામાં કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે, કોંગ્રેસમાં ક્ષત્રિય સમાજને ખૂબ સારાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ સતત મળતું રહ્યું. કોંગ્રેસના શાસનમાં ક્ષત્રિય સમાજના 8 થી 10 સાંસદ, 20 થી 25 ક્ષત્રિય ધારાસભ્યો, અનેક બોર્ડ અને નિગમના ચેરમેન અને ડાયરેક્ટર તરીકે ક્ષત્રિય કાર્યકરો અને આગેવાનો હતાં તેમજ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સહિત સમગ્ર કોંગ્રેસ પક્ષના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજને ખૂબ સારૂં પ્રતિનિધિત્વ મળતું હતું. જેની તુલનામાં ભાજપામાં અત્યારે, ક્ષત્રિય સમાજને તેમના હક્ક જેટલું પણ પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. તેવો અસંતોષ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ખૂબ વ્યાપી ગયો છે. તેની હૈયાવરાળ અને વેદના ક્ષત્રિય સમાજ ઠાલવી રહ્યો છે.
આ પ્રકારના આક્ષેપોની રાજકીય અસરો લાંબા સમય સુધી ચાલતી હોય છે, રૂપાલા વિવાદ શમી ગયા બાદ પણ પ્રવિણસિંહ જાડેજાએ લખેલાં આ પત્રના ઘેરા પડઘા જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભાજપામાં જોવા મળશે એમ રાજકીય નિરીક્ષકો માને છે. કારણ કે, આ મામલો સ્વમાન અને પક્ષ તરફથી રાખવામાં આવેલા કથિત પક્ષપાતનો હોવાનું દેખાઈ રહ્યું છે.
વડાપ્રધાન પરના પત્રમાં પ્રવિણસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું છે કે, ” રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહારો કર્યા ” એ પ્રકારનું નિવેદન ભાન ભૂલીને પુરૂષોતમ રૂપાલા દ્વારા થયું છે, જેને કારણે રાજા રજવાડાઓ તથા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણીઓ દૂભાઈ છે અને તેમના માન સન્માનને ખૂબ મોટી ઠેસ પહોંચી છે. જેથી તેઓ પ્રત્યે સમગ્ર ક્ષત્રિય સમાજમાં અતિ તીવ્ર રોષની લાગણી વ્યાપેલ છે. પ્રવિણસિંહ જાડેજાએ એમ પણ લખ્યું છે કે, ક્ષત્રિય સમાજના ગૌરવશાળી બહેનો અને દીકરીઓ વિષે ખુદ કેન્દ્ર સરકારના જ મંત્રી આવો નિંદનીય અને અપરાધજનક બકવાસ કરે તે શું ટીકાને પાત્ર નથી ? તેવા વેધક સવાલોની લાગણી ક્ષત્રિય સમાજમાં વ્યાપી રહી છે.