Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતનાં વિપક્ષનાં પૂર્વ નેતા કાસમ ખફીએ જામનગર આસપાસના ગામોનાં ખેડૂતોને થતાં કથિત અન્યાય અંગે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ સોમવારે યોજેલી એક પત્રકાર પરિષદમાં ‘જાડા’ તથા કોર્પોરેશન પર ચોંકાવનારા આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ બંને સંસ્થાઓ હજારો ખેડૂતોની જમીનો વેચી નાંખે છે.!
પત્રકાર પરિષદમાં કાસમ ખફીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં જમીન માપણી ખૂબ જ અન્યાયી રીતે કરવામાં આવી રહી છે. ખેતીની વારસાઈ જમીનો ધરાવતાં ખેડૂતોની જમીનોની માપણી ખોટી રીતે કરવામાં આવી રહી છે ! ખુદ રાજ્ય સરકાર પણ આ ભૂલો સ્વીકારે છે ! જમીનોની નવી અને ભૂલભરેલી માપણીને કારણે અસંખ્ય ખેડૂતો વચ્ચે શેઢા તકરારો થઈ રહી છે ! ભવિષ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના પણ બની શકે એવી દહેશત પણ તેઓએ વ્યક્ત કરી છે. જમીન માપણી માટેની ખાનગી એજન્સી તથા આ માટેની સરકારી કચેરી , આ કામોમાં ‘મલાઈ’ તારવવાના મુદ્દે કુખ્યાત છે એવો આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે, જામનગર આસપાસના 38 ગામોનો પોતાનામાં સમાવેશ કરી, ‘જાડા’ એ આ ગામોનાં ખેડૂતોને ભારે અન્યાય કર્યો છે. મનસ્વી ઠરાવના આધારે ખેડૂતોની હજારો હેકટર જમીન ‘જાડા’ એ નિયમોનાં નામે પડાવી લીધી છે ! આ ગામોમાં ‘જાડા’ એ કોઈ વિકાસ કર્યો નથી. ‘જાડા’ એ આ ગામોમાં કોઈ સુવિધાઓ આપી નથી. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં એમ પણ જણાવ્યું હતું કે, આ ગામોમાં ખેડૂતોની જમીનો ‘જાડા’વેચી નાંખે છે અને રોકડી કરે છે ! ‘જાડા’ ના સત્તાધીશો મલાઈ તારવી રહ્યા છે એમ પણ તેઓએ કહ્યું.
આ 38 ગામોમાં કનસુમરાથી માંડીને સરમત સુધીનાં ગામો તથા ચાંપા બેરાજાથી માંડીને નવાગામ (ઘેડ) સુધીનાં ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘જાડા’ પોતાનાં હસ્તકનાં ગામોમાં ખેડૂતોની સહમતી વિના તથા ખેડૂતોને જાણ પણ કર્યા વિના મનસ્વી રીતે ઝોન પાડી દે છે ! રસ્તાઓ વગેરેનાં પ્લાન પણ મનસ્વી રીતે બનાવી નાંખે છે !
‘જાડા’ ની 05/03/2022 નાં દિને યોજાયેલી બેઠકમાં મોટો ખેલ પાડવામાં આવ્યો હતો એવો આક્ષેપ કરીને કાસમ ખફીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયોને કારણે ખેડૂતોની અંદાજે 65 ટકા જેટલી જમીનો ઝૂંટવાઈ ચૂકી છે ! બાકીની 35 ટકા જમીન બિનખેતી કરાવીને વેચવામાં ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે.આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે, જામનગર મહાનગરપાલિકાની નીતિરીતિ પણ ગેરવાજબી છે. 2013 માં 14 ગામોનો કોર્પોરેશનમાં સ્માર્ટ સિટીનાં નામે સમાવેશ કરવામાં આવ્યો પછી આ ગામોમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપ્યા વિના કોર્પોરેશન લોકો પાસેથી વેરાઓની વસૂલાત કરી રહી છે. વિભાપરથી માંડીને દરેડ સુધીનાં ગામોનાં અડધાં ભાગો પર કોર્પોરેશનનો કબજો છે. આ વિસ્તારોમાં ખેડૂતો પોતાની જમીનો બિનખેતી કરાવે છે ત્યારે 40 ટકા જેટલી જમીનો કોર્પોરેશન પાસે જતી રહે છે. કોર્પોરેશન આ જમીનો વેચી નાંખે છે. આવી જમીનો પર કોર્પોરેશને વિકાસકામો કરતું નથી.
કાસમ ખફીએ પત્રકાર પરિષદમાં અંતે જણાવ્યું હતું કે, આ અન્યાય સામે છેવટ સુધી લડત ચલાવવામાં આવશે. કોઈ પણ કાળે ખેડૂતોનું શોષણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ લડતને પરિણામ સુધી પહોંચાડવા માટે બધાં જ જરૂરી કાર્યક્રમો આપવામાં આવશે અને મક્કમ લડત ચલાવવામાં આવશે. હાલમાં આ 52 ગામો પૈકી 23 ગામોમાં જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરી દેવામાં આવ્યું છે. અને, આગામી દિવસોમાં લડત આગળ વધારવા તમામ 52 ગામોમાં લડત સમિતિઓ બનાવવામાં આવશે એમ તેઓએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.