Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાનું જોડિયા પોલીસમથક વર્ષોથી ચર્ચાઓમાં રહેવા ટેવાયેલું છે! ઘણાં લાંબા સમય બાદ જોડિયા પોલીસ પર વીજળી ત્રાટકી છે. એક PSI અને રાઈટરને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે અને ચાર પોલીસકર્મીઓને જોડિયાથી ઉપાડી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફેંકી દેવામાં આવ્યા છે. જેને પરિણામે જામનગર સહિત સમગ્ર હાલારમાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જોડિયા પોલીસ સ્ટેશનના ચાર કર્મીઓ નિકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જયવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર દિવ્યરાજસિંહ જટુભા જાડેજાને જોડિયાથી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડાએ Mysamachar.in સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જાહેર કર્યું છે કે, જોડિયા પોલીસમથકનો જાતીય સતામણીનો એક મામલો ધ્યાન પર આવ્યો હતો, જેમાં જેઓ વિરુદ્ધ ગંભીર એલિગેશન બહાર આવ્યા હતાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેઓ આ મામલામાં ક્યાંક ને ક્યાંક ચિત્રમાં આવેલાં હોવાનું જાણવા મળે છે તેઓની બદલીઓ કરી નાંખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જોડિયા પંથક રેતીચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. જેના તાર છેક નેતાઓ સુધી નીકળતાં હોવાની ચર્ચાઓ સમયાંતરે થતી રહેતી હોય છે. અને ખાણખનિજ વિભાગ પણ આ બાબતે ખાસ એક્ટિવ ન હોવાની સ્થિતિ છે. રેતીચોરી મુદ્દે જોડિયા પોલીસમથકની ભૂમિકા પણ અવારનવાર ચર્ચાઓનો વિષય બનતી રહે છે.
આ ઉપરાંત અન્ય એક બાબત છાને ખૂણે એવી સંભળાઈ રહી છે કે, જોડિયા પંથકની ખાખીમાં ક્યાંક ઈલુ ઈલુ થઈ રહ્યું છે ! જેના સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર અંગે ઘણી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે ! આ બધી જ વિગતો કહેવાય છે કે, પોલીસવડા સુધી પહોંચી ચૂકી હતી ! ચર્ચાઓમાં સત્ય શું છે ? એ હકીકત તો ભવિષ્યમાં કદાચ ખબર પડી શકે. હાલ પોલીસવડાએ એટલું જણાવ્યું છે કે, જાતીય સતામણી મુદ્દે સંબંધિત પોલીસ અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે, પ્રાથમિક તપાસના આધારે પગલાં ભરવામાં આવ્યા છે, આગામી સમયમાં વધુ કડક પગલાંની આવશ્યકતા ઉભી થઈ શકે છે.
-જામનગરના મહિલા ફોજદારની બદલી મુદ્દે……
જોડીયાના આ મામલા ઉપરાંત જામનગર શહેરની વાત કરીએ તો, મહિલા પોલીસ મથકના લેડી ફોજદારની સિંગલ ઓર્ડરથી બદલી કરી નાંખવામાં આવી છે. મહિલા PSI કલ્પનાબા જાડેજાને સિટી બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. જે અંગે પોલીસવડાએ કહ્યું છે કે, પોલીસ બંદોબસ્ત દરમિયાન આ અધિકારી ફરજના સ્થળે હાજર ન હોવાનું ધ્યાન પર આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.