Mysamachar.in-જામનગર:
રાજ્ય સહીત જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓ, રસ્તા પરના દબાણો અને ખરાબ રસ્તા સહિતના પ્રશ્નો છે, આવા પ્રશ્નોના નિરાકરણ માટે જામનગર મનપાએ કમર કસી છે અને આવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે છેલ્લા કેટલાય સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે આ પ્રયાસો વધુ સારી રીતે સફળ થાય તે માટે જામનગર મનપા કમિશ્નર ડી.એન.મોદી, નાયબ કમિશ્નર ભાવેશ જાની, મેયર વિનોદ ખીમસુર્યા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા સહિતની ટીમે શહેરની સમસ્યાઓના નિવારવા માટે એક અલાયદી ટીમને મેદાને ઉતારી વોર્ડ વાઈઝ જવાબદારીઓ સોંપી દીધી છે.
શહેરની જાણીતી સમસ્યા રખડત્તા ઢોર ખરાબ રસ્તા પાર્કિંગ અને દબાણ મુદે 16 વોર્ડ માટે 16 વોર્ડ ઓફિસરની ફરજ ફાળવણી કરવામાં આવી, અલગ અલગ વિભાગના 16 અધિકારીઓએ તેમના વિસ્તારોમાં હવે એ જોવું પડશે કે ક્યાં રસ્તામાં દબાણ છે, ક્યાં આડેધડ પાર્કિંગના ખડકલા છે અને ક્યાં રસ્તે રઝળતા પશુઓ છે, આ મામલે વોર્ડમાં જે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે તેને સોંપવામાં આવેલ વોર્ડમાં તેણે શું કર્યું તેનો દૈનિક કામગીરીનો અહેવાલ નાયબ કમિશ્નરને સુપ્રત કરવાનો રહેશે. આમ મનપાને હવે આ પ્રયોગમાં કેટલી સફળતા મળે છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.