Mysamachar.in:જામનગર
રાજાશાહીનાં જમાનામાં નવાનગર સ્ટેટ તરીકે જાણીતું શહેર આજે જામનગર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બ્રાસસિટી અને ઓઈલસિટીનું ટેગ ધરાવતું તથા ક્રિકેટનાં કાશી તરીકે જાણીતું આપણું રળિયામણું નગર એક જમાનામાં સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે પણ પ્રખ્યાત હતું. આ શહેર લાખો લોકોની કર્મભૂમિ રહ્યું છે. આ શહેરે મૂઠી ઉંચેરા માનવીઓ સંખ્યાબંધ આપ્યા છે.
કચ્છના જાડેજા રાજાઓએ ઇ.સ. 1540 નાં ઓગસ્ટ મહિનામાં, વિક્રમ સંવત 1596ના પવિત્ર શ્રાવણ મહિનાની સુદ સાતમ અને બુધવારે આ નવાનગર શહેરની સ્થાપના કરી હતી. યૉગાનુયોગ આજે શહેરનાં 484મા સ્થાપના દિવસે પણ બુધવાર છે. શહેરની સ્થાપના સમયે શાસ્ત્રોક્ત વિધિથી હાલનાં દરબારગઢ ખાતે થાંભલીની સ્થાપના કરવામાં આવેલી. ત્યારથી દર વર્ષે સ્થાપના દિન નિમિતે આ થાંભલીનું પૂજન કરવામાં આવે છે. જેને ખાંભીપૂજન કહેવામાં આવે છે. આજે પણ આ પરંપરા મહાનગરપાલિકા પરિવાર દ્વારા સવાર નવ વાગ્યે નિભાવવામાં આવી હતી.
આ મસ્ત શહેર આજે 484 વર્ષનું થયું પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અન્ય શહેરો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટની વિકાસદોડની સરખામણીએ આપણું શહેર ચિત્રમાં કયાંય નથી એમ પણ દુ:ખ સાથે કહેવું પડે. અન્ય શહેરો સ્માર્ટ સિટી બનવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. સંખ્યાબંધ પ્રોજેક્ટસ પર કામ થઈ રહ્યા છે ત્યારે જામનગર હજુ કચરાનિકાલની પણ પારદર્શી અને જડબેસલાખ વ્યવસ્થા ગોઠવી શકયું નથી એવી બાબતોનો નગરજનોને રંજ છે.
આપણે હજુ આખા શહેરમાં પીવાનાં પાણીની દૈનિક કે 24 કલાકની વ્યવસ્થા, ભૂગર્ભગટર નેટવર્ક કે રિંગ રોડ અને વરસાદી પાણીનાં નિકાલ જેવી બાબતોમાં જબરદસ્ત અને નોંધપાત્ર કામગીરી કરી શકયા નથી એ અફસોસ આજે સ્થાપના દિને ફરી યાદ આવતાં તેનો ઉલ્લેખ કરવો પડયો છે. આવનારા સ્થાપનાદિનોની ઉજવણીઓ પૂર્વે શહેર ખરાં અર્થમાં સ્માર્ટ બની જશે ?! એવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે. શહેરીજનોને રંજ એ વાતનો પણ છે કે ખાલી વાતો કરવાથી શહેર સ્માર્ટ નથી બની જતું શહેરને સ્માર્ટ બનાવવા માટે વિઝન જોઈએ પણ કમનસીબે એ દુર સુધી ક્યાય જોવા મળતી નથી.