Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા કામદારોની જાનની સલામતી અને આ શ્રમિકોનુ સ્વાસ્થ્ય મોટો મુદ્દો છે. પરંતુ સરકારી તંત્રો આ દિશામાં ખાસ કરીને ગંભીર હોતાં નથી, એવું આપણે સૌ વર્ષોથી જાણીએ છીએ. આ ઉપરાંત શ્રમિકોનુ શોષણ પણ સંવેદનશીલ બાબત છે.
વિધાનસભામાં રજૂ થયેલાં કેટલાંક આંકડાઓ મુજબ, રાજ્યમાં પાછલાં બે વર્ષ દરમિયાન કુલ 152 ઔદ્યોગિક કામદારોનાં મોત અકસ્માતો દરમિયાન નોંધાયા છે. આ ઉપરાંત વિધાનસભામાં એ આંકડાઓ પણ જાહેર થયાં છે કે, રાજ્યમાં કામદારોનાં શોષણના કેટલાં કેસ નોંધાયા છે. રાજ્યમાં પાછલાં એક જ વર્ષ દરમિયાન કામદારોનાં શોષણના કુલ 133 કેસ નોંધાયા છે. 76 ફરિયાદો સાથે કચ્છ જિલ્લો રાજયમાં પ્રથમ ક્રમે છે. જામનગર રાજ્યભરમાં બીજા ક્રમે છે.
જામનગર જિલ્લામાં વર્ષ દરમિયાન કામદારોનાં શોષણની કુલ 17 ફરિયાદ નોંધાવા પામી છે. 13 ફરિયાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લો ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત વિધાનસભામાં જાહેર થયું છે કે, પાછલાં બે વર્ષમાં સુરત, અમદાવાદ અને ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોમાં કુલ 152 કામદારોનાં મોત થયા છે. જે પૈકી 142 કામદારોનાં મોત અમદાવાદ અને સુરતમાં માત્ર એક જ વર્ષમાં નોંધાયા છે. આ ઉપરાંત વિધાનસભામાં એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે, આ અકસ્માતમાં સરકાર દ્વારા કોઈ જ સહાય આપવામાં આવી નથી. આ પ્રકારના કેસોમાં નાણાંકીય સહાય આપવાની જવાબદારી સંબંધિત ઔદ્યોગિક એકમોએ નિભાવવાની હોય છે.