Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતનું નામ મોટું છે, થોડાં થોડાં સમયે આ સંસ્થા દ્વારા જિલ્લાકક્ષાના કાર્યક્રમો પણ યોજાતાં રહે છે અને આવા કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની પીઠ થાબડવા માટે ખાસ ઉત્સવો યોજવામાં આવે છે જેમાં પ્રજાની તિજોરીના નાણાં ખર્ચ કરીને પ્રશંસા ચાલીસાઓ ગાવામાં આવતી હોય છે, પરંતુ બીજી તરફ લાંબા સમયથી હકીકત એ છે કે, જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ પર યોગ્ય સમયે ભરતીઓ થતી ન હોય, સમગ્ર સંસ્થાના વહીવટને માઠી અસરો પહોંચી રહી છે, વિકાસના કામો તો વિલંબમાં મૂકાય જ છે અન્ય વહીવટી કામો પડતર રહે છે સમગ્ર જિલ્લાના લોકોએ પોતાનાં કામો માટે આ સ્થિતિને કારણે દૂરદૂરથી જામનગર સુધી ધક્કા ખાવા પડે છે.
હાલમાં જામનગર જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્કની બેચાર નહીં, પૂરી 28 જગ્યાઓ ખાલી છે ! આ સ્થિતિમાં કામોની તથા લોકોની ફાઈલો આગળ કેવી રીતે વધી શકે?! જિલ્લા પંચાયતમાં વહીવટી સિનિયર ક્લાર્કની 16 અને હિસાબી સિનિયર ક્લાર્કની 12 જગ્યાઓ ખાલી છે. આ મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજયના પંચાયત મંત્રીને તથા પંચાયત સેવા પસંદગી મંડળને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો કે આ પ્રકારની રજૂઆત ભૂતકાળમાં પણ ત્યારના પ્રમુખ દ્વારા થયેલી, તો પણ આજની તારીખે આ અને આવી ઘણી જગ્યાઓ ખાલી જ છે. સરકાર પ્રમુખની રજૂઆતને પણ દાદ નથી આપતી ?!
ગુજરાત રાજય પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જૂનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બઢતી માટેની ખાતાંકીય પરીક્ષાઓ લેવાનું આયોજન એક વર્ષ પછી પણ હજુ હાથ ધરવામાં આવ્યું નથી, જેને કારણે આ જગ્યાઓ ખાલી છે. આ કર્મચારીઓને પરીક્ષાઓ પાસ કરવાની શરતે હાલમાં શરતી બઢતીઓ આપી દેવા અંગે નિર્ણય કરવામાં આવે તો પણ આ કર્મચારીઓને બઢતીઓ આપી વહીવટી અને હિસાબી કામો આગળ વધારી શકાય. અને એમ કરવાથી જૂનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી પડે ત્યાં આગામી ભરતીમાં કર્મચારીઓની નિમણુંક કરી, પંચાયતના કામોને વેગ આપી શકાય. પરંતુ કમનસીબે લાંબા સમયથી આ અંગે સરકારમાંથી કોઈ નિર્ણય થતો નથી !!
જિલ્લા પંચાયતમાં સૌથી વધુ કામો બાંધકામ શાખામાં કરવામાં આવતાં હોય છે, જોવાની ખૂબી એ છે કે, આ શાખામાં પણ કર્મચારીઓની મોટી ઘટ છે, જેને પરિણામે સમગ્ર જિલ્લાના લોકો સેવાઓ અને સુવિધાઓથી વંચિત રહેતાં હોવાની કમનસીબ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક નેતાગીરીનું ગાંધીનગરમાં કાંઈ ઉપજતું નથી ? કે, ખુદ ગાંધીનગર રગશિયું ગાડું ચલાવવામાં માને છે ?! એ જે હોય તે, આ સ્થિતિનું સૌથી મોટું નુકસાન લાખો ગ્રામજનોએ સહન કરવું પડી રહ્યું છે.