Mysamachar.in-જામનગરઃ
જામનગરવાસીઓને ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવા સમાચાર આવ્યા છે, સ્વચ્છ સર્વેક્ષણ-2020માં જામનગરને ગુજરાતમાં છઠ્ઠી મહાનગરપાલિકા તરીકે ODF++ એટલે કે ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુક્ત હોવાની કેટેગરી મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અન્વયે સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટમાંથી વર્ષ 2016થી 2018 સુધી જામનગરને સ્વચ્છ રાખવા માટે એક લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જો કે લક્ષ્યાંક કરતાં પણ વધુ સારી રીતે આ ઝુંબેશ કરીને વ્યક્તિગત શૌચાલયનું તેમજ 10 નવા પે એન્ડ યુઝ ટોઇલેટનું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે જામનગર શહેરને ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુક્ત એટલે કે Open defection free (ODF) વર્ષ 2016થી 2018 સુધી સતત જાહેર કરવામાં આવે છે. 2019 માટે પણ જામનગર શહેરને ODF+ જાહેર કરવામાં આવેલ હતું.
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધારા ધોરણો મુજબ ODF++ જાહેર કરવા માટે પ્રચાર પ્રસાર અંતર્ગત જામનગર શહેરના કુલ ૫૩ પે એન્ડ યુઝ ટોઇલેટ પર ODF++ ને લગત બેનર્સ અને સ્ટીકર લગાવીને લોકોમાં જન જાગૃતિ લાવવામાં આવેલ, અને તે પૈકી ૧૪ પે એન્ડ યુઝ ટોઇલેટમાં ફીડબેક મશીન, સેનેટરી વેન્ડીંગ મશીન અને ઇનસિનેરેટર મશીન છે તે મહિલાઓ માટેના વિભાગમાં લગાવવામાં આવેલ છે. સદરહુ કામગીરી કરીને સ્ટે.કમિટી થ્રુ ODF++ માટે દરખાસ્ત જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવેલ છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત સરકાર માન્ય એજન્સી ક્વોલીટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા QCIના પ્રતિનિધિ દ્વારા ડીસેમ્બર-૨૦૧૯માં અલગ અલગ પે એન્ડ યુઝ ટોઇલેટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન (STP),સ્કુલ,કોમર્શીયલ કોમ્પલેક્ષ, વગેરેમાં ODF++ ના ધારા ધોરણ મુજબ કરવામાં આવેલ કામગીરીની સ્થળ નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવેલ.
આ તમામ કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા સરકારના પોર્ટલ પર દસ્તાવેજી આધારો અપલોડ કરવામાં આવેલ છે, જેને ધ્યાનમાં રાખીને આજરોજ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦માં ગુજરાતમાં છઠ્ઠી મહાનગરપાલિકા તરીકે જામનગર શહેરને ODF++ જાહેર કરવામાં આવેલ છે. અને જેના કારણે જામનગર શહેરને ફાઈવ સ્ટાર રેન્કિંગ મેળવવા માટેનો વિકલ્પ પણ ખુલ્લી ગયેલ છે. અને સમગ્ર શહેરના સ્વરછતા રેટિંગમાં અગ્રતા ક્રમ મેળવવામાં ODF++નો દરજજો મદદરૂપ થશે, સ્વરછ સર્વેક્ષણ-૨૦૨૦માં જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તથા નગરજનોનાં સહકારથી આ દરજ્જો પ્રાપ્ત થતા કમિશનરે ખુશી વ્યક્ત કરતા શહેરીજનો પણ સ્વચ્છતા માટે આવનાર સમયમાં પણ સહયોગ આપે તેવી અપીલ કરી છે.