Mysamachar.in-જામનગર
જામનગર મનપાની દર 15 દિવસે મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં છેલ્લા કેટલાક સમયથી દે ધનાધન વધારાના ખર્ચ મંજુર થઇ રહ્યા છે, જે તે વિભાગના પહેલા આયોજન હોતા નથી, લાગતા વળગતા કોન્ટ્રાકટરો ડાઉનમાં ટેન્ડર ભરે અને બાદમાં બધું સમુંનમું થઇ જાય એટલે વધારાના ખર્ચ વારંવાર મંજુર કરવાનો સિલસિલો ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ યથાવત રહ્યો હોય તેમ લાગે છે. હવે આ મામલે મનપામાં ચર્ચાઓ અનેક થાય છે, વિપક્ષ આક્ષેપો પણ કરે છે, પણ ખરેખર મંજુર કરવામાં આવતા વધારાના ખર્ચ યોગ્ય કે અયોગ્ય તેનું જસ્ટિફીકેશન ક્યારેય થતું નથી, વિપક્ષ દ્વારા થોડા દિવસો પૂવે વિરોધની પીપુડી વગાડવામાં આવી હતી,
આમ તો એક વખત ટેન્ડર મંજૂર થાય એટલે બધું નક્કી જ હોય છે છતાં કેમ વારંવાર કરોડો અને લાખોના ખર્ચ વધી રહ્યા છે તે વાત ગળે ઉતરતી નથી, થોડા સમય પૂર્વે જ કચરો ઉપાડતી બે કંપનીઓને જેમ માગ્યા વગર માં પીરસે તેમ 11 કરોડથી વધુનો વધારાનો ખર્ચ ચેર પરથી મંજુર કરવામાં આવ્યો ત્યારે પણ ટીકાઓ થઇ હતી તો તાજેતરમાં વિપક્ષ નેતાએ પણ આ મામલે વિરોધ કર્યો હતો,છતાં પણ વધારાના ખર્ચ કોના લાભાર્થે વધી રહ્યા છે તેનો વિશેષ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, અને છેલ્લી કેટલીક બેઠકોમાં આવા કેટલા ખર્ચાઓને મંજુરી આપી દેવાઈ તેનો તલસ્પર્શી અભ્યાસ my samachar ટીમ દ્વારા ચાલી રહ્યો છે કારણ કે લગભગ દરેક બેઠકમાં કોઈને કોઈ કામમાં વધારાનો ખર્ચ મંજૂર કરી જ દેવાઈ છે,
તો આ સ્થિતિ ગતરોજ પણ યથાવત રહી હોય તેમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.10 માં ગઢની રાંગની અંદર-બહારના વિસ્તારોમાં બાકી રહેતા ભૂગર્ભ ગટર/પાઈપ ગટરના કામોના રેઈટ કોન્ટ્રાક્ટમાં પણ રૂપિયા એક કરોડ સત્તર લાખનો તોતીંગ વધારાનો ખર્ચ મંજુર કરી દેવામાં આવ્યો છે,
આ ઉપરાંત સિવિલ સાઉથ ઝોનના વોર્ડ નં. 8, 15 અને 16 માં સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્ક્સના કામમાં રૃપિયા ત્રણ લાખનો વધારાનો ખર્ચ પણ મંજૂર કરી દેવાયો છે. જો મનપાના જાણકારોનું માનીએ તો જો જે તે વિભાગ પાસે કામોનું યોગ્ય પ્લાનિંગ હોય તો વધારાના ખર્ચ સીમીતી મર્યાદામાં જ કદાચ મંજુર કરવાની વાત આવે પણ અણધડ આયોજનોને કારણે ખર્ચ વધે છે કે વધારવામાં આવે છે તે બાબત શંકા ઉપજાવનારી છે, શા માટે આ રીતે દરેક કામમાં પાછળથી વધારાના ખર્ચ થઈ રહ્યાં છે, તો પછી ટેન્ડરનો મતલબ શું..? આ તો એવું છે કે પહેલા પહેલા નીચા ભાવ મંજૂર કરવા લગત ને સાચવી લેવા અને બાદમાં તેમને ખોટ ના આવે અને બધું જળવાઈ રહે તે માટે આ રીતે એક ચોક્કસ કળાના ભાગરૂપે પાછળથી આ રીતે અલગ અલગ કામોમાં વધારાનો ખર્ચ મંજૂર કરી દેવામાં આવે છે.આમ વારંવાર વધારાના ખર્ચ જાણકારોના મતે શંકા ઉપજાવનાર પણ બની રહ્યા છે.