Mysamachar.in:જામનગર
જામનગર સહિતનાં સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે એક સારો નિર્ણય થયો છે અને તેનો અમલ પણ શરૂ થઈ જતાં હજારો નાનાં ઉદ્યોગકારોને મોટી રાહત થવા પામી છે. હવે જામનગરના ઉદ્યોગકારોએ પોતાની ઉઘરાણીમાં રોકાતી રકમો મેળવવા પાટનગર સુધી ધક્કા નહીં ખાવા પડે. જાણવા મળે છે કે, સૂક્ષ્મ અને નાનાં ઉદ્યોગો(MSMEs)એ પોતાનાં ફસાયેલા નાણાંની રિકવરી માટે છેક ગાંધીનગર સુધી લાંબા નહીં થવું પડે. સરકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભાવનગર જેવાં શહેરોમાં MSME ફેસિલીટેશન કાઉન્સિલની ઝોનવાઈઝ રચના કરી છે. અત્યાર સુધી ઉદ્યોગકારોએ આ નાણાંની રિકવરી માટે પાટનગર જવું પડતું હતું.
રાજય સરકાર અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમિતિની બેઠકમાં રાજકોટ ચેમ્બર દ્વારા આ રજૂઆત થઈ હતી. જેને સફળતા મળી છે. નાનાં ઉદ્યોગકારો કરોડો રૂપિયાનાં ઉત્પાદનો બાયરને વેચતા હોય છે. ઘણાં કિસ્સાઓમાં આ નાણાં ફસાઈ જતાં હોય છે. આ પ્રકારના નાણાંની વસૂલાત માટે જો કે ડીલે પેમેન્ટની વ્યવસ્થા છે. પરંતુ એ માટે ઉદ્યોગકારોએ છેક ગાંધીનગર જવું પડતું હતું. વળી, આ કાઉન્સિલમાં નિર્ણય આવવામાં પણ ઘણો સમય વ્યતીત થતો હતો. તેથી સમય, શક્તિ અને નાણાંનો વેડફાટ થતો હતો. હવે આ બચત થશે.
રાજકોટ ઝોન માટે શરૂ થયેલી આ કાઉન્સિલમાં ચેરમેનપદે અધિક કલેક્ટર રહેશે. તેમાં સભ્ય તરીકે રાજકોટ ચેમ્બર, લીડ બેંક મેનેજર, જિલ્લા સરકારી વકીલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેસિલીટેશન કાઉન્સિલમાં રાજકોટ શહેર ઉપરાંત જામનગર, દ્વારકા, જૂનાગઢ, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાઉન્સિલ દ્વારા સૂક્ષ્મ અને નાનાં ઉદ્યોગનાં રૂપિયા 50 લાખ સુધીના નાણાં કે જે બાયરો પાસે ફસાયેલા હશે તે કેસોનો નિકાલ કરવામાં આવશે. જો કે ફસાયેલી રકમ પચાસ લાખથી વધુ હશે તો ગાંધીનગર કાઉન્સિલમાં જ જવું પડશે. આમ નાનાં એકમોની નાની ઉઘરાણીનો મામલો હવે રાજયભરમાં સ્થાનિક સ્તરે નિપટાવવામાં આવશે.