Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર હાલાર પંથકમાં વધેલુ સેલ્ફ મેડીકેશન (કોઇપણ બિમારી માટે જાતે દવા ખરીદવી), અને ઓટીસી (ઓવર ધ કાઉન્ટર વેચાણ જેમાં અમુક મેડીકલ સ્ટોર્સ પ્રીસ્ક્રીપ્શન વગર દવા વગેરે વેચે જે માટે અમુક વસ્તુ જેવી કે કન્ઝ્યુમર પ્રોડકટ, સામાન્ય દુખાવા, શરદી, તાવ વગેરેની ટેબલેટની છુટ હોય છે, પરંતુ એન્ટીબાયોટીક સહિત જુદા-જુદા શેડયુઅલની ડ્રગ ડોકટરના પ્રીસ્ક્રીપ્શન વગર વેચી શકાતી નથી)નું પ્રમાણ વધ્યુ છે આ બંને બાબતો જન આરોગ્ય માટે મોટો ખતરો છે અને કદાચ એક દર્દ મટે તો બીજા કોમ્પ્લીકેશન ઘણા વધી જાય છે જે માટે તંત્ર પગલા લે તેની તાતી જરૂર છે. પોતાની મેળે દવાઓ ખરીદવી, વેચવી એ આરોગ્ય માટે નુકશાનકારક છે, ડ્રગ ડીપાર્ટમેન્ટ દરેક જગ્યાએ પહોંચી વળતો નથી, કહેવાતા ઓનલાઇન રેકોર્ડમાં પણ છેડછાડ શકય છે ઉપરાંત અનેક બાબતોએ ‘આંખ આડા કાન’ થાય છે.
– મોટાભાગના સ્ટોર્સમાં તપાસ જ નહીં
જામનગર અને દ્વારકાના મેડીકલ સ્ટોર્સમાંથી મોટાભાગનામાં કા તો તપાસ થતી જ નથી ખાસ કરીને દુકાને ફાર્માસીસ્ટ હંમેશા હાજર છે, રીન્યુઅલ યોગ્ય છે, શેડયુઅલ દવાનું વેચાણ પ્રીસ્ક્રીપ્શન ઉપર જ છે કે કેમ, દવાના સ્ટોરેજ તેના તાપમાનની જાળવણી થાય છે? પ્રીસ્ક્રીપ્શન મુજબ જ દવા રખાય છે, સેડેટીવ સહિતની ડ્રગ્સમાં વધુ પ્રીસ્ક્રીપ્શન લેવાય છે અને ફાઇલીંગ-રેકોર્ડ રખાય છે કે કેમ?, દવાઓ ઉપર ડસ્ટ તો ઉડતી નથીને? અનકવોલીફાઇડ લોકો દવા વેચતા નથીને, દવા સાથે સેમ્પલ કે એકઝપાયરી કે પ્રીન્ટીંગ ન હોય તેવી દવા વેચાતી નથીને? જે સમય નક્કી છે તે સમયે મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહે છે કે કેમ? દવાઓની ખરીદીનો અને વેચાણનો રેકોર્ડ છે કે કેમ? દરેક દવા કેટેગરી વાઇઝ ગોઠવાઇ છે કે કેમ તેવા અઢારથી વધુ મુદા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ અને રૂલ્સ મુજબ તપાસવાના હોય છે પરંતુ તેવી દરેક સ્થળે અને નિયમીત ચકાસણી થતી નથી.
-કાયદામાં ડોકટરના પ્રીસ્ક્રીપ્શનની વ્યાખ્યા છે
ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન તેના લેટરપેડ ઉપર જ જેમાં તેના માન્ય રજીસ્ટર નંબર લખ્યા હોય તેમાં જ હોવું જોઇએ (ચબરખીમાં નહી), જેમાં પ્રીસ્ક્રીપ્શન ફોરની નીશાની આરએકસ બાદ પેશન્ટનું નામ, ઉમર અને રોગનું ટુકુ નામ, બાદમાં દવાનું નામ તે પણ બ્રાન્ડ નહી જેનરીક જ લખવાનું હોય છે, તેના ડોસેઝ લખવાના, કોર્ષ લખવાનો, તારીખ લવાની અને સીક્કો લગાવવાનો હોય છે આવા અનેક મુદા કાયદામાં છે, આ પ્રમાણોનું જ પ્રીસ્ક્રીપ્શન મેડીકલ સ્ટોર્સ લેવાનું અને તો જ દવા આપવાની હોય છે પરંતુ જેમ બીજી બાબતો એ થાય છે તેમ અમુક મેડીકલ સ્ટોર્સમાં અનેક બાબતોએ આંખ આડા કાન થાય છે.
-બિનજરૂરી વિટામીન-એન્ટીબાયોટીકસ-પેઇન કીલર નુકશાન કરે
સામાન્ય રીતે શરદી, વાયરલ તાવ, ડાયેરીયા, દુખાવા નબળાઇ, થાક, ત્યાં સુધી કે છાતીમાં દુખાવા, પેટના દુખાવા, મગજના દુખાવામાં લોકો મેડીકલ સ્ટોર્સમાંથી વીટામીન, એન્ટી બાયોટીક, પેઇનકીલર, ઘેનની ગોળી, નશા જેવી દવા ખરીદતા હોય છે, મેડીકલ સ્ટોર્સ વાળા અમુક વેચતા પણ હોય છે પરંતુ ડોકટરની સલાહ વગરના આવા ડ્રગ કીડની, મગજ, આંતરડા, હાર્ટ, ફેફસા, આંખ, ચામડી, વાળ,માં સાઇડ ઇફેકટ આપે છે પરંતુ ડોકટરની ફી, આવવા જવાનો ખર્ચ, લેબ રીપોર્ટના ખર્ચ બચાવવા નબળા અને સામાનય વર્ગમાં રસ્તો પસંદ કરે છે તે પણ અધુરા ડોઝ લે છે જે વધુ નુકશાન કરે છે.