Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ગેરકાયદેસર બાંધકામોને નાણાં ચૂકવીને કાયદેસર બનાવી આપવા માટે સરકારે ત્રીજી વખત કાયદાનો અમલ શરૂ કર્યો છે, જેનો હજારો ગેરકાયદેસર બાંધકામોને લાભ મળી શક્યો છે અને તેના બદલામાં જામનગર કોર્પોરેશનને કરોડોની આવક પણ મળી છે. આ તમામ કામગીરીઓ ઈમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના TPO વિભાગના ઊર્મિલ દેસાઈ જણાવે છે કે શહેરમાં ઈમ્પેક્ટ ફી યોજનાનો લાભ મેળવવા લોકોએ કોર્પોરેશનમાં કુલ 5,616 અરજીઓ કરી છે. જે પૈકી 2,135 અરજીઓ તંત્ર દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ અરજીઓ એવી છે જેમાં કેટલાંક અરજદારો નિયત સમયમર્યાદામાં તંત્ર સમક્ષ કાગળો સબમિટ કરાવી શક્યા ન હતાં. આ ઉપરાંત કેટલીક એવી અરજીઓ પણ નામંજૂર કરવામાં આવી છે જેમાં ઈમ્પેક્ટ ફી અંગેની સરકારની શરતો અથવા નિયમોનું પાલન ન થયું હોય. જો કે જેઓની અરજીઓ નામંજૂર થઈ છે તેઓ તંત્રના આદેશને અપીલમાં પડકારી શકશે કે કેમ ? તે અંગેની સ્પષ્ટતાઓ રાજ્ય સરકાર કરશે.
5,616 પૈકી 2,395 અરજીઓ તંત્રએ મંજૂર કરી દીધી છે. આ તમામ અરજદારોએ નાણાં પણ જમા કરાવી દીધાં છે. તેઓના ગેરકાયદેસર બાંધકામ હવેથી કાયદાની ભાષામાં કાયદેસર બની ગયા. આ અરજદારો પાસેથી જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 18 કરોડની નોંધપાત્ર આવક મળી છે. હજુ 16 ડિસેમ્બર સુધી આ ઈમ્પેક્ટ ફી પ્રક્રિયા ચાલુ રહેશે. અગાઉ આ યોજના પૂર્ણ થયેલી પણ જેતે સમયે સરકારે મુદ્દત વધારી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બધાં જ કાગળો અને બધી જ વિગતો ઓનલાઈન સબમિટ કરવાની હોય છે જેના પર સ્થાનિક તંત્રનું મોનિટરીંગ હોય છે. આગામી સમયમાં હજુ કેટલાંક ગેરકાયદેસર બાંધકામૉ કાયદેસર થઈ શકશે અને કોર્પોરેશનની આ આવક હજુ પણ વધશે.