Mysamachar.in: જામનગર
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાં ખાનગી શાળાઓની ફી નું ધોરણ દર વર્ષે FRC દ્વારા નક્કી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર માટેની આ FRC માં ચેરમેન તરીકે હાઈકોર્ટના નિવૃત જજ હોય છે અને કુલ પાંચ સભ્યો હોય છે. આ સમિતિમાં કેટલાંક સભ્યોની જગ્યાઓ ખાલી છે અને ચેરમેનની મુદ્દત આગામી જૂનમાં પૂર્ણ થઈ રહી છે, બીજી તરફ 6 જૂન સુધી ચૂંટણી આચારસંહિતા અમલમાં રહેવાની હોય, આ મામલો હાલ વિલંબિત છે.
ફી નિર્ધારણ સમિતિમાં ચેરમેન સહિત કુલ પાંચ સભ્યો હોય છે. આ પાંચ પૈકી ત્રણ સભ્યોની મુદ્દત છ મહિના અગાઉ પૂર્ણ થઈ ગઈ છે છતાં આજની તારીખે આ ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી. આ ઉપરાંત ચૂંટણી આચારસંહિતા ચાલુ હશે, એ દરમિયાન 4 જૂને સમિતિના ચેરમેનની મુદ્દત પણ પૂર્ણ થઈ રહી છે, આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છના જામનગર અને રાજકોટ સહિતના 11 જિલ્લાઓમાં આવેલી હજારો ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર માટેની ફી ના ધોરણો કેવી રીતે નક્કી થઈ શકશે ? આ મુદ્દો હાલ વિચારણામાં આવ્યો છે.
હાલમાં ચૂંટણીઓ માટેની આચારસંહિતા ચાલી રહી હોય, સરકાર સમિતિના સભ્યોની ખાલી જગ્યાઓ અને ચેરમેનની ખાલી પડનારી જગ્યાઓ પર નવી નિમણૂંકો કેવી રીતે કરશે ? અને, એ દરમિયાન હજારો ખાનગી શાળાઓ નવા શૈક્ષણિક સત્ર માટે ફી વધારાની જે દરખાસ્તો FRC ને મંજૂરીઓ માટે મોકલશે, તેના પર નિર્ણય કેવી રીતે થઈ શકશે ?
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ ઝોન માટેની આ FRC સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત બોટાદ જિલ્લો એમ કુલ 11 જિલ્લાઓની આશરે 5,500 થી વધુ શાળાઓની ફી નક્કી કરતી હોય છે, જેમાં હજારો-લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય છે. આ ફી જો હાલ નક્કી નહીં થઈ શકે તો લાખો વાલીઓની ચિંતાઓ વધી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ FRCના પાંચ પૈકી ત્રણ સભ્યોની મુદ્દત ગત્ સપ્ટેમ્બરમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. આજની તારીખે નવી નિમણૂંકો થઈ નથી. મામલો હવે આચારસંહિતાને કારણે ગૂંચવાયો છે.
આ FRC માં હાલ શાળા સંચાલકોના પ્રતિનિધિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એન્જિનિયરિંગ વિદ્યાના તજજ્ઞ એમ કુલ ત્રણ સભ્યોના પદની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. આ નિમણૂંક બાકી છે. આ નિમણૂંકો મુદ્દે અવારનવાર રજૂઆતો પણ થયેલી આમ છતાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. શિક્ષણ વિભાગની બેદરકારીઓને કારણે, ચૂંટણીઓ માટેની આચારસંહિતા અમલમાં આવી ત્યાં સુધી સમિતિની આ ખાલી જગ્યાઓ ન ભરાતાં હવે પ્રશ્ન એ છે કે, શાળાઓની ફી વધારાની દરખાસ્તો પર નિર્ણય કેમ થશે ? કોણ કરશે ?આ ફી નિર્ધારણ સમિતિના ચેરમેન સહિતના હાલના ત્રણ સભ્યોની મુદ્દત 4 જૂને પૂર્ણ થઈ રહી છે ત્યારે, ફી અંગેના નિર્ણયો આગામી દિવસોમાં કેવી રીતે લઈ શકાશે ? તે મુદ્દે હજારો વાલીઓ, શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ સૌ અવઢવમાં રહેશે.