Mysamachar.in-જામનગર:
જામનગરનાં જયેશ પટેલ કેસમાં લંડન ખાતે ગત્ મંગળવારે નવું ડેવલપમેન્ટ નોંધાયું છે. આ મામલો લંડનની અદાલતમાં પોણા બે વર્ષથી ચાલી રહ્યો છે. જયેશ પટેલની સોંપણી ભારતને આપવી કે કેમ ? તે અંગેનો નિર્ણય હવે નજીકનાં સમયમાં થઈ શકશે. લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં આ મામલો મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. અદાલત સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જયેશ પટેલને ભારત મોકલી આપવો કે કેમ ? તે અંગેનો આખરી ફેંસલો આગામી ત્રીજી માર્ચે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સંભળાવી શકે છે. જયેશને 2021ની 16મી માર્ચે કોન્ટ્રાક્ટ કિલિંગ સહિતનાં આરોપસર ભારત સરકારની ભલામણના આધારે લંડન પોલીસે ઝડપી લીધો હતો. ત્યારથી આ મામલો લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં ચાલી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે, જયેશ બનાવટી દસ્તાવેજોના આધારે લંડનમાં પ્રવેશ્યો હતો. અને ઝડપાઈ ગયો ત્યારથી લંડનની બેલમાર્શ જેલમાં હાલ બંધ છે. જામનગરમાં 2018માં કિરીટ જોષી હત્યાકાંડમાં તે મુખ્ય આરોપી છે. ગત્ મંગળવારે લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં તેને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતું હતું કે, જેલમાં તેને લાલ સોફા પર બેસાડવામાં આવ્યો હતો જ્યાં બેઠાં તેણે અદાલતી કાર્યવાહી નિહાળી. તેની બાજુમાં સોફા પર દુભાષિયો બેઠો હતો, જેણે જયેશને અદાલતી કાર્યવાહી સમજાવી.
ભારત સરકાર વતી આ અદાલતી કાર્યવાહી દરમિયાન કલેઈર ડોબિન KC નામનાં ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં. જયેશ પટેલ તરફથી આ અદાલતી કાર્યવાહી દરમિયાન ધારાશાસ્ત્રી હગ સાઉથી KC હાજર રહ્યા હતાં. તેમણે અદાલતમાં એમ કહ્યું કે, તેમનાં અસીલ જયેશ પટેલની માનસિક સ્થિતિ અપરાધભાવને કારણે ખૂબ જ ખરાબ છે. તે પોતાને ગુનેગાર માની રહ્યા હોય, તેણે પોતાની જાત પરનો કાબુ ગુમાવી દીધો છે. તે નિરાશાથી ઘેરાઈ ગયા છે. નિરાશાની આ સ્થિતિમાં કોઈ કેદી આપઘાત ન કરી બેસે તે માટે, માનવ અધિકાર માટેની યુરોપિયન સમજૂતી અંતર્ગત અદાલતે ચોક્કસ પ્રકારની ફરજો બજાવવી જોઈએ, તો જ કેદીનો જીવ બચાવી શકાય, તેને આપઘાત તરફ જતાં બચાવી શકાય. આ કેસની હવે પછીની સુનાવણી આગામી ત્રીજી માર્ચે વેસ્ટમિનિસ્ટર અદાલતમાં થશે, એવું જાણવા મળી રહ્યું છે.