Mysamachar.in:જામનગર
કોઈ પણ હોસ્પિટલનાં બાંધકામ સમયે એ બાબતોનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે કે, હોસ્પિટલની ઈમારતને વીજળી, પાણી અને ઓક્સિજનનો પૂરવઠો કોઈ પણ સંજોગોમાં ‘સતત’ મળતો રહે. કારણ કે, કરોડો રૂપિયાના ખર્ચે ખડકાતી આવી બહુમાળી હોસ્પિટલમાં હજારો દર્દીઓ દાખલ હોય છે. અકસ્માતનાં સંજોગોમાં પણ આ મૂળભૂત સેવાઓ અને સુવિધાઓ ખોરવાવી ન જોઈએ. એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા હોસ્પિટલ નિર્માણ સમયે કરવી જ જોઈએ. પરંતુ જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે ખડકાયેલી નવ માળની જીજી હોસ્પિટલમાં આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટનાં અધિકારીઓએ કરી જ નથી ! આ અધિકારીઓ અંગૂઠાછાપ હતાં ?! કે, જાણીજોઈને બેદરકારી દાખવવામાં આવી છે ?! આવા અધિકારીઓનો ખુલાસો પૂછાવો જોઈએ.
જામનગરની જીજી હોસ્પિટલમાં સોમવારે બપોર બાદ પાણીની એક પાઈપલાઈન તૂટી ગઇ ! પ્રથમ પ્રશ્ન એ છે કે, પાણીની પાઈપલાઈન તૂટી શા માટે ?! પાઈપલાઈન સડેલી હતી ? હોસ્પિટલ બન્યાના 6 જ વર્ષમાં પાઈપલાઈન સડી કેમ ?! નબળી ગુણવત્તા ધરાવતી પાઈપલાઈન છે ?! 6 વર્ષ દરમિયાન આ પાઈપલાઈનનું ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું ?! અચાનક શા માટે પાઈપલાઈન તૂટી ?! પાઈપલાઈનમાં વહેતાં પાણીનું પ્રેસર વધી ગયું હતું ?! શા માટે વધી ગયું ?! તે માટે જવાબદાર કોણ ? વગેરે મુદ્દાઓની ઝીણવટભરી તપાસ થવી જોઈએ.
હોસ્પિટલમાં સોમવારે બપોરથી સતત 20 કલાક સુધી પાણી ન હતું ! કલ્પના કરો, નવ માળની હોસ્પિટલમાં હજારો દર્દીઓ અને તેમના પરિવારજનોની વીસ વીસ કલાક સુધી સ્થિતિ શું થઈ હશે ?! અને, આજનાં આધુનિક યુગમાં એક ફોલ્ટ રિપેર કરતાં તંત્રને 20 કલાક લાગે !! એ વાજબી કહેવાય ?! પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ(PIU) જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હોસ્પિટલોની ઈમારતો બનાવવાની ‘મલાઈદાર’ કામગીરી સંભાળે છે, જેનો એક્સ રે આ પ્રકારનો કદરૂપો છે ! જીજી હોસ્પિટલની પ્રશંસાચાલીસાઓ ગાનારાઓ આ પ્રકારના બનાવો વખતે ક્યાંક સંતાઈ જતાં હોય છે, એવું સેંકડો વખત બન્યું છે !