Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજયમાં હાર્ટએટેક અને એ પણ ખાસ કરીને નાની વયના લોકોને આવી રહેલાં હાર્ટએટેક અને તેને પરિણામે નીપજી રહેલાં મોતના બનાવોને કારણે સમગ્ર સમાજમાં ગમગીન ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં આવો વધુ એક બનાવ નોંધાતા સર્વત્ર ઉચાટની સ્થિતિ છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી નાની વયના ખાસ કરીને યુવાન વયના પુરુષોના મોતના બનાવો હાર્ટએટેકના કારણે થતાં હોવાની વિગતો સામે આવી રહી હોય, સમાજમાં એક ભય અને ઉચાટની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ પ્રકારના બનાવો કોરોનાકાળ પછીના સમયમાં જ જોવા મળી રહ્યા છે, અગાઉ આવા બનાવ ખૂબ લાંબા સમયે જવલ્લે જ નોંધાતા. પરંતુ હાલના સમયમાં આવા બનાવો છાશવારે બની રહ્યા છે જેમાં સ્વસ્થ યુવાનોને મોત ઉપાડી જાય છે !
જામનગર શહેરના પટેલપાર્ક વિસ્તારમાં એક ગરબા કલાસમાં સોમવારે રાત્રે દસ-સાડાદસ આસપાસ 125-130 જેટલાં યુવકો નવરાત્રિ પૂર્વેની ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા હતાં. તે દરમિયાન 19 વર્ષનો એક યુવાન રમતાં રમતાં જમીન પર ઢળી પડતાં આ ગરબા કલાસમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં તો આ યુવકને વધારાની ઠંડક આપવા પવન નાંખવામાં આવ્યો અને એકાદ બે ઘૂંટ પાણી પિવડાવવાનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ યુવાન બેભાન હાલતમાં હોય આ પ્રયાસો કારગર નીવડયા ન હતાં, તે દરમિયાન વિલંબથી આવી પહોંચેલી 108માં આ યુવાનને ઓશવાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જયાં તબીબોએ યુવાનને મૃત જાહેર કરતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાત્રે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને કારણે રાતની ઠંડક છતાં કલાસના સૌ ખેલૈયાઓને પસીનો છૂટી ગયો હતો અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બાદમાં જાણકારી બહાર આવી હતી કે, ગરબા પ્રેક્ટિસ દરમિયાન હાર્ટએટેકને કારણે મૃત્યુ પામેલો આ યુવાન શહેરના નીલકંઠ વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ વિનીત કુંવરિયા હતું. તેને કોઈ પણ પ્રકારની બિમારી ન હતી. સ્વસ્થ યુવાનનું આ રીતે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અકાળે મોત થતાં ગરબારસિકોમાં ઘેરી ગમગીની અને શોક વ્યાપી ગયા છે.