Mysamachar.in:ગુજરાત
જામનગર જિલ્લાનો 33 વર્ષ પહેલાંનો, 1990નો કસ્ટોડિયલ ડેથ કેસ વધુ એક વખત સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને પોતાનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે કેમ કે, આ કેસમાં જેલમાં રહેલાં બરતરફ IPS સંજીવ ભટ્ટે પોતાને થયેલી સજાના હુકમને પડકારતી અરજીમાં વધુ પુરાવાઓ જોડવા સુપ્રિમમાં રજૂઆત કરતાં, અદાલતે ગુજરાત સરકારને ઉપરોક્ત નિર્દેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1990માં કોમી રમખાણોના પગલે દેશભરમાં બંધનાં એલાનના ભાગરૂપે જામજોધપુર બંધનું એલાન પણ આપવામાં આવેલું ત્યારે, જામનગર જિલ્લા પોલીસે જામજોધપુરમાંથી પ્રભુદાસ વૈશ્નાણી સહિતના 133 લોકોની ધરપકડ કરી હતી. જે પૈકી પ્રભુદાસ નામની વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મોત થયેલું. આ કેસ વર્ષો બાદ ખૂલ્યા પછી, લાંબી કાનૂની લડાઈના અંતે તત્કાલીન જામનગર ASP સંજીવ ભટ્ટને થોડાં મહિનાઓ પહેલાં જેલસજા ફરમાવી હોય, સંજીવ ભટ્ટ હાલ જેલમાં છે અને પોતાને આ કેસમાં દોષિત ઠરાવાયાના ચુકાદાને તેઓએ પડકાર આપ્યો છે.
તાજેતરમાં તેઓએ સુપ્રિમ કોર્ટમાં આ પડકાર અનુસંધાને રજૂઆત કરી હતી કે, તેઓ આ અરજીમાં કેટલાંક વધુ પુરાવાઓ જોડવા ઈચ્છે છે. સંજીવ ભટ્ટની આ રજૂઆત પછી સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું છે કે, આ મુદ્દે ગુજરાત સરકાર કશું કહેવા ઈચ્છતી હોય તો સરકારે સુપ્રિમ કોર્ટમાં 11 એપ્રિલ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આ કેસની હવે પછીની સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1990ની સાલમાં ભારતીય જનતા પાર્ટીના ત્યારનાં સર્વેસર્વા નેતા લાલકૃષ્ણ અડવાણીએ તે સમયે દેશભરમાં રથયાત્રા યોજી હતી, જેને કારણે આખા દેશમાં એક અલગ પ્રકારનો માહૌલ સર્જાયો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ‘અચ્છે દિન’ શરૂ થયા હતાં. તે પછી 1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસ ઘટના પણ બની હતી.