Mysamachar.in:જામનગર
જામનગરમાં જર્જરિત મકાનો મોટો વિષય છે. હજારો મકાનો તૂટી પડે તેવી હાલતમાં છે. ખુદ કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આ પ્રકારના મકાનોના ધારકોને, મકાનો છોડી જવા નોટિસ આપે છે, સમજાવે છે, બેઠકો કરે છે. છતાં આ સમસ્યાનો ઉકેલ મળતો નથી. માત્ર ટાઈમપાસ ચાલી રહ્યો છે અને વાતો થતી રહે છે. કોઈ નક્કર કાર્યવાહીઓ કે કામગીરીઓ ક્યાંય જોવા મળતી નથી ! ક્ષતિઓ ધરાવતાં હજારો મકાનો જોખમી છે. ગમે ત્યારે તૂટી પડે એવું પણ બને. જામનગર અને જૂનાગઢમાં તાજેતરમાં આવી દુર્ઘટના બનેલી છે જ. અને આ જોખમ નિવારવા રાજય સરકારે નબળાં મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા લોકોપયોગી પોલિસી પણ બનાવેલી છે જ. પોલિસીમાં ગત્ વર્ષે સુધારાઓ પણ કરવામાં આવ્યા. આમ છતાં સરકારની આ પોલિસીનો જામનગરમાં હજુ સુધી અમલ શરૂ થયો ન હોય, લોકોને તરેહતરેહની ચર્ચાઓ કરવા માટેનો વિષય મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ગત્ જૂનમાં મકાન તૂટી પડવાની દુર્ઘટના પણ સર્જાઈ હતી. છતાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડ દ્વારા આજની તારીખે રાજય સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી જામનગરમાં કયારે અને કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે ? તે અંગેની કોઈ જ ‘સતાવાર’ જાહેરાત કરવામાં આવી નથી. શા માટે ?! અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી મુજબ, જૂની અને ખાનગી સોસાયટીઓ પુનઃ નિર્માણ પામી રહી છે, લોકોને નવા મકાનો મળી રહ્યા છે, લોકો પરથી જોખમો દૂર થઈ રહ્યા છે. બીજી તરફ, જામનગરમાં ખાનગી સોસાયટીઓ તો ઠીક કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ પોતાના આવાસોમાં પણ સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસીનો અમલ કરાવી શકયા નથી ! શું સમસ્યા છે ? કોઈ જ સતાવાર જાહેરાતો કેમ નથી થતી ?! લોકો આ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે.
હાઉસિંગ બોર્ડ પણ કોર્પોરેશન માફક ઠંડુ છે. રાજકોટ બેસતાં અધિકારીઓને જામનગરમાં જાણે કે રસ જ નથી ! હજારો લોકો હાઉસિંગ બોર્ડના જોખમી મકાનોમાં દહેશત વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે ! હાઉસિંગ બોર્ડના અધિકારીઓ માનવતા પણ ભૂલી ગયા છે ?! જામનગરના હજારો નગરજનો પોતાની હાલાકીઓ જેની પાસે વર્ણવી શકે, એવું જામનગરમાં કોઈ નથી ?! જોખમમાં જિવતાં હજારો નગરજનોની લાચારીનો ઉપાય, કોઈ પાસે નથી ?!