Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ખનિજચોરી દાયકાઓથી ચાલ્યો આવતો ધમધમતો વ્યવસાય રહ્યો છે. સ્થાનિક તંત્રને સાઈડલાઈન કરી છેક ગાંધીનગરથી સત્તાવાળાઓએ જામનગર જિલ્લામાં ખનિજચોરી ઝડપી લેવા આવવું પડે છે ! જેને કારણે, સ્થાનિક સત્તાવાળાઓની મિલીભગત ચર્ચાનો વિષય બનતો રહે છે. વધુ એક વખત ખાણખનિજ વિભાગ અને વનવિભાગ સમક્ષ જોડિયા પંથકમાં રેતીચોરી થઈ રહી હોવાની રજૂઆત થવા પામી છે.
જામનગરનાં વોર્ડ નં. 1 નાં પૂર્વ કોર્પોરેટર હુસેનાબેન સંઘાર દ્વારા તંત્રો સમક્ષની રજૂઆતમાં જણાવાયું છે કે, જોડિયા પંથકમાં રેતીચોરી બેફામ ચાલુ છે. ખાસ કરીને વનવિભાગની જમીન પરથી રેતીચોરી થઈ રહી હોવાનું નરી આંખે અને ધોળે દિવસે દેખાઈ રહ્યું છે. જામનગર-રાજકોટ રોડ પર આ ચોરાઉ રેતી છડેચોક ચારવામાં આવી રહી છે ! ચોરાઉ રેતીનાં ડમ્પરો કોઈનાં પણ ડર વિના દિનરાત લોડ થતાં હોય, સ્થાનિક તંત્રોની ભૂમિકાની નોંધ લેવાઈ રહી છે.
ખૂબીની વાત એ છે કે, આ પંથકમાં રેતીચોરી માટે ગેરકાયદે રોડની પણ સુવિધા ઉપલબ્ધ છે ! આ પંથકમાં દર 24 કલાકે અંદાજે 100 થી વધુ ડમ્પરમાં ચોરાઉ રેતી લોડ થતી હોવાનું સમજાઈ રહ્યું છે. રેતીચોરીને કારણે કાંઠાનું રક્ષણ કરતી ચેર વનસ્પતિનાં મોટાં જથ્થાને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે. આટલી બેફામ રેતીચોરી છતાં સ્થાનિક સત્તાવાળાઓ અને આગેવાનોનું મૌન આશ્ચર્યજનક લેખાઈ રહ્યું છે.
રેતીચોરીને કારણે એક તરફ સરકારને આવકમાં મોટો ઘટાડો સહન કરવો પડે છે, બીજી તરફ રેતીચોરો સાથે સાંઠગાંઠ ધરાવતા વિવિધ વિભાગોનાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાની તિજોરીમાંથી તોતિંગ પગારભથ્થાં ચૂકવવા પડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ખનિજચોરી અંગે અવારનવાર રજૂઆતો છતાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પગલાં ભરવામાં આવતાં ન હોય, તંત્રનાં મિલાપીપણા અંગે પણ કાર્યવાહી થવા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે.