Mysamachar.in:જામનગર
જામનગર ગુજરાત મેરીટાઈમ બોર્ડ અવારનવાર ચર્ચામાં રહે છે. એવામાં આજે એક દુઃખદ ઘટના મેરીટાઈમ બોર્ડની નિષ્ક્રિયતાને કારણે એક માસુમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ અંગે મળતી વિગતો મુજબ ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની પોર્ટ કોલોની માધાપર ભૂંગા વિસ્તારમાં આવેલ છે, ત્યાં નજીક જ આંગણવાડી પણ આવેલ છે. ત્યારે આજે સવારના કેટલાક બાળકો રમી રહ્યા હતા ત્યારે એક 4 વર્ષીય બાળક પર પોર્ટ કોલોનીનો લોખંડનો દરવાજો અચાનકથી માથા પર પટકાઈ પડતા આ બાળકને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે આ અંગે 6 જાન્યુઆરી 2023 ના રોજ આ અંગે યોગ્ય થવા અને જરૂરી રીપેરીંગ કરાવવા રજૂઆત કરાઈ હતી તે ધ્યાને ના લેવામાં આવતા આજે સવારે આ ઘટના બની છે જેમાં એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આ ઘટનાથી સ્થાનિકો અને મૃતક બાળકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.