Mysamachar.in-ગુજરાત:
દુનિયા આધુનિક થઈ રહી છે, સૌ કોઈ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં ઝડપભેર દોડી રહ્યા છે. આ માનસિકતાના કેટલાંક ઉધાર પાસા પણ છે. આવું એક ભયસ્થાન છે- સાયબર ક્રાઈમ. સાયબર ક્રાઈમ દિવસરાત વધી રહ્યા છે. ગુનાહિત માનસ ધરાવતાં તત્વો 10 બાય 10ની ભંગાર ઓરડીમાં ખાટલાં પર સૂતાં સૂતાં પણ આ ધંધામાં મોટી અને ધારી કમાણી કરવામાં સક્સેસ થતાં હોય છે કેમ કે, બેવકૂફોની આ દુનિયામાં કમી નથી. અને, ટેકનોલોજી- આઈડિયાઝ અને સેક્સ તથા લાલચ જેવી કેટલીક બાબતો એવી હોય છે કે, જેનો શાતિર લોકો ભરપૂર ગેરલાભ ઉઠાવી લેતાં હોય છે. ઉઠાવે છે જ. લાખો લોકો છેતરાઈ રહ્યા છે, કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. ઘણાં બેવકૂફો તો પ્રતિષ્ઠા અને જિંદગી પણ ગુમાવી રહ્યા છે.
સાયબર ક્રાઈમ એક મોટી સમસ્યા બની ગઈ છે, જેનાથી બચવા ખૂબ જ સાવચેત રહેવું પડે કેમ કે, હરામીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ઘણાં બધાં સાયબર ગુનેગારો ઝડપાઈ પણ રહ્યા છે અને હજારો ગુનેગારો હાથમાં પણ નથી આવતાં અથવા છેક સુધીની તપાસ પણ કરવામાં નથી આવતી. ખરેખર તો આ એક રહસ્યમય દુનિયા છે, જેમાં રેકેટની અંદર રેકેટ પણ શક્ય હોય છે.
ગુજરાતીઓ આમ તો શાણાં માનવામાં આવે છે પરંતુ આંકડાઓ કહે છે- સૌથી વધુ બેવકૂફ ગુજરાતમાં વસવાટ કરે છે. એમ કહેવાય છે કે, નફાતોટાની ભાષા ગુજરાતીઓને ગળથૂથીમાં મળે છે, પરંતુ સાયબર ક્રાઈમમાં સૌથી વધુ નાણાં ગુજરાતીઓ ગુમાવે છે. તેઓ લાલચુ છે? ઓછાં જાગૃત છે? ઉતાવળા છે? શોખીન છે? લાંબો વિચાર નથી કરતાં? કે, રૂપિયા કમાવામાં જેમ અવ્વલ છે તેમ રૂપિયા લૂંટાવી દેતી વખતે, બહુ લાંબુ વિચારતા નથી? કે પછી, સમૃધ્ધ ગુજરાતીઓને ફસાવવા કોઈ મોટું રેકેટ, ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે ઓપરેટ કરવામાં આવી રહ્યું છે? સંભાવનાઓ અગણિત છે. સતર્કતા ઉપાય છે. બચો.
સંસદમાં આંકડાઓ જાહેર થયા. એક વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમનો ભોગ બનીને દેશભરમાં સૌથી વધુ નાણાં શાણાં ગુજરાતીઓએ ખોયા. ગુજરાતીઓએ માત્ર 365 દિવસમાં 156 કરોડ રૂપિયા આમાં ગુમાવી દીધાં. અને, જે કિસ્સાઓ પોલીસ સુધી ન પહોંચ્યા હોય, કોઠીમાં મોં ઘાલીને રડતાં હોય, એ અલગ. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા મોટાં રાજ્યોને પણ ગુજરાતે નાણાં ગુમાવવામાં પાછળ રાખી દીધાં !! ગુજરાતમાં ફેલાયેલા આ નેટવર્કિંગ પર સર્વેલન્સ અસરકારક બનવું જોઈએ. ગુજરાત પોલીસને વધુ સતર્ક અને સજ્જ બનાવવાની આવશ્યકતા દેખાઈ રહી છે.
દેશના આઠ સાંસદોએ આ સંદર્ભે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતાં,જેના જવાબમાં કેન્દ્રીય રાજયમંત્રીએ આ વિગતો સંસદમાં મૂકી. આ એક ગંભીર અને સંવેદનશીલ તેમજ ચિંતાપ્રેરક મામલો છે. ગુજરાતીઓએ શીખ લેવી પડશે. આ ટ્રેન્ડ ભયાવહ અને ખતરનાક કહી શકાય. રાજ્યના ગૃહ મંત્રાલયે એક્શન પ્લાન બનાવી તેનો અસરકારક અમલ કરાવવો જોઈએ, લોકોને આ બાબતે શિક્ષિત કરવાની જરુર છે. કેમ કે ઘણાં લોકો આવા બનાવ બાદ આપઘાત કરવા સુધી પહોંચી જતાં હોય છે. અને, ખાસ તો યંગ જનરેશન પર ફોક્સ કરવાની જરુર છે, તેઓ જ ભવિષ્ય છે.