Mysamachar.in-ગુજરાત:
રાજયની વડી અદાલતમાં અદાલતી કાર્યવાહીઓ અને ચુકાદાઓ ગુજરાતી ભાષામાં ન હોવાથી સામાન્ય નાગરિક આ બધી બાબતો અંગે અસ્પષ્ટ રહે છે અને પોતાની મન કી બાત સારી રીતે અદાલત સમક્ષ રજૂ કરી શકતો નથી. અધૂરામાં પૂરું સુપ્રિમ કોર્ટે પણ આ બાબતે વડી અદાલતમાં ગુજરાતી ભાષાના ઉપયોગને મંજૂરી ન આપતો ચુકાદો આપી દેતાં કરોડો ગુજરાતીઓ માટે આ મુદ્દો હતાશાનું કારણ બની શકે છે.
વડી અદાલતમાં હાલ સત્તાવાર ભાષા અંગ્રજી છે, તેની સાથે ગુજરાતી ભાષાને પણ મંજૂરી આપવામાં આવે એવી માંગ સુપ્રિમ કોર્ટ સમક્ષ થઈ હતી પરંતુ સુપ્રિમ કોર્ટે આ માંગ ફગાવી દેતાં ગુજરાતીઓને આ મુદ્દે મોટો ફટકો પડ્યો છે. આ અગાઉ વડી અદાલતે પણ આવો જ ચુકાદો આપેલો.
હાઈકોર્ટ સહિતની અદાલતોમાં અંગ્રેેજી ભાષાની સાથેસાથે ગુજરાતી ભાષાના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવે એવી માંગ અગાઉ રાજયની વડી અદાલતમાં અરજી મારફતે થયેલી, વડી અદાલતે આ અરજી નકારી કાઢી હતી તેથી આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે અગાઉના હાઈકોર્ટના આદેશને યથાવત્ રાખ્યો.
અમદાવાદના એક સામાજિક કાર્યકરે વડી અદાલતના આ વલણને સુપ્રિમ કોર્ટમાં ગત્ ઓગસ્ટમાં પડકાર ફેંક્યો હતો. પરંતુ સુપ્રિમ કોર્ટમાં પણ અરજદારને સફળતા મળી નથી. 2012માં તત્કાલીન રાજયપાલે પણ ગુજરાતી ભાષાના ઉપયોગ અંગે ભલામણ કરેલી, જો કે રાજય સરકારે આ ભલામણ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં આ મામલો હાઈકોર્ટમાં હતો ત્યારે, હાઈકોર્ટના વકીલોમાં જ આ મુદ્દે ઉંડા મતભેદો અને ગજગ્રાહ ઉભા થયા હતાં અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખે જેતે સમયે રાજીનામું આપી દેવું પડેલું એ હદે આ વિવાદ વકરી ઉઠ્યો હતો.
અત્રે એ પણ નોંધનીય છે કે, ભૂતકાળમાં આ મુદ્દે રાજયની વડી અદાલતમાં સામાજિક કાર્યકર રોહિત પટેલએ જાહેર હિતની અરજી દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ જેતે સમયે વડી અદાલતે એમ કહેલું કે, જાહેર હિતની અરજીના નામે આ ભળતી જ અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે એમ પણ કહેલું કે, જેતે સમયે સુપ્રિમ કોર્ટે દેશની વિવિધ હાઈકોર્ટમાં જેતે રાજયની પ્રાદેશિક ભાષામાં સુનાવણીની માંગને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, સુપ્રિમ કોર્ટે જે નિર્ણય લીધો હોય તે સંદર્ભે અરજી પર નિર્ણય લેવાનું હાઈકોર્ટના સતાક્ષેત્રમાં આવતું નથી. જે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તે સુપ્રિમ કોર્ટ જ કરી શકે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સરેરાશ નાગરિકને એ ખબર જ હોતી નથી કે, હાઈકોર્ટની સુનાવણીઓ અને ચુકાદાઓમાં શું કહેવાય રહ્યું છે, કેમ કે આ બધી જ બાબતો અંગ્રેેજીમાં જ હોય છે, તેથી અરજદારોએ બધું જ વકીલો કહે એમ જ કરવાનું રહે છે. જો ન્યાય માંગનાર ખુદ પોતાની ભાષામાં પોતાની લાગણીઓ અને રજૂઆત વ્યક્ત ન કરી શકે તો, કલ્પના કરો કે સમગ્ર મામલો કેટલો વિચારણીય બની જાય?! ગુજરાતી ભાષાના ઉપયોગ મુદ્દે અદાલતોએ દાખવેલું આ વલણ પ્રત્યેક ગુજરાતીભાષી નાગરિકને સીધું જ સ્પર્શ કરતું હોય, આ મુદ્દો સંવેદનશીલ બની રહ્યો છે.