Mysamachar.in-જામનગર;
ગુજરાતમાં આશરે 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં સભ્યો અને સરપંચપદ માટેની ચૂંટણીઓની તૈયારીઓ ઝડપભેર આગળ વધી રહી છે, એવા અહેવાલો અફવા છે. આ સમગ્ર વિષય ગાંધીનગર કક્ષાએ પુષ્કળ વિલંબ અનુભવી રહ્યો છે. જેને કારણે રાજ્યમાં લાખો મતદાતાઓ પંચાયત ચૂંટણીઓનો ખૂબ જ ઈંતઝાર કરી રહ્યા છે.
બિનસતાવાર રીતે એવા અહેવાલો વહેતા કરવામાં આવી રહ્યા છે કે, ગ્રામ્ય કક્ષાએ સરપંચપદ સહિતના રોટેશન નક્કી કરવા માટેની ગતિવિધિઓ ગાંધીનગર કક્ષાએ શરૂ થઈ છે. ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે. રાજ્યના ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લામથકોએ કલેક્ટર કચેરીઓને આ બાબતે પત્રો પાઠવી દેવામાં આવ્યા છે. આ પ્રકારના અહેવાલો તદ્દન બિનપાયેદાર માલૂમ પડી રહ્યા છે.

આજે સવારે Mysamachar.in દ્વારા જામનગરના નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેરની સાથે આ બાબતે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય ચૂંટણીપંચ તરફથી કોઈ જ લેટેસ્ટ સૂચનાઓ કે પત્ર પાઠવવામાં આવ્યો નથી. આ પ્રકારની પ્રોસેસ હજુ હવે ગાંધીનગર કક્ષાએ શરૂ થઈ શકે છે. હાલ કોઈ જ સૂચનાઓ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં પંચાયત ચૂંટણીઓનો મામલો બહુ લાંબા સમયથી લંબાતો રહ્યો હોય, ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ નારાજગીઓ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી અને વહીવટદારના કામોમાં કોઈ ઠેકાણાં નહીં અને વહીવટદારોની સંખ્યાબંધ ખાલી જગ્યાઓ જેવા કારણોસર લાખો ગ્રામજનો અકળામણ અનુભવી રહ્યા છે. અને, હજુ પણ આ ચૂંટણીઓ અંગે ગાંધીનગરમાં કોઈ ઉતાવળ હોય એવું કાંઈ નજરે ચઢતું નથી.