Mysamachar.in-રાજકોટઃ
રંગીલા રાજકોટ શહેરમાંથી કૂટણખાનાનો પર્દાફાશ થતા ભારે ચર્ચા જાગી છે. મોરબી રોડ પર જલારામ સોસાયટીમાં એક રહેણાક મકાનમાં મહિલા દ્વારા દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો, જે અંગે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને માહિતી મળતા પોલીસ સ્ટાફને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કૂટણખાનું ચલાવતી દયા ચૌહાણ નામની મહિલા તથા દેહવ્યાપાર કરતી પાંચ મહિલા અને ચાર ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. કૂટણખાનામાંથી મોટા પ્રમાણમાં દવાઓ, કોન્ડોમ વગેરે પોલીસે કબ્જે કર્યા છે. પોલીસ પૂછપરછમાં દયાએ કબૂલાત આપી કે તે મૂળ બંગાળથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવતી હતી, ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા વસૂલતી, જેમાંથી એક હજાર પોતે રાખતી અને બાકીના એક હજાર મહિલાઓને આપતી. પોલીસે દયા તથા ચાર ગ્રાહકો હેમાંગ વાછાણી, રવિ ચાવડિયા, મોહિત ડોડિયા, હિતેશ માખેચાની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી બી ડિવીઝન પોલીસ મથક હવાલે કર્યા હતા.