Mysamachar.in-વડોદરા:
22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને 26 પ્રવાસીઓએ જિવ ગુમાવ્યા. ત્યારબાદ ગત્ 8મી મે ના દિવસથી સૈન્યએ આતંકીઓને ખતમ કરવા ઓપરેશન સિંદૂરનો આરંભ કર્યો. જો કે થોડા દિવસના તણાવ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ. ત્યારબાદ હાલમાં દેશભરમાં ભાજપા દ્વારા સિંદૂરયાત્રાઓ યોજવામાં આવી રહી છે. દરમ્યાન, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આજે વડાપ્રધાન ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે.

આજે સોમવારે સવારે 10 વાગ્યે ખાસ વિમાન દ્વારા વડાપ્રધાન વડોદરા એરપોર્ટ પર આવી પહોંચે પછી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિમી નો રોડ-શો આયોજિત થયો છે. સમગ્ર વડોદરા શહેરને શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન વડોદરા ઉપરાંત ભૂજ, દાહોદ, ગાંધીનગર અને અમદાવાદની મુલાકાત લેશે. દાહોદ ખાતે રેલ્વેના ઈલેક્ટ્રીક ઓટોમેટિક લોકોમોટિવ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે અને ભૂજમાં હજારો કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના વીજ સબ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે.

વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન રાજ્યના જામનગર સહિતના વિવિધ જિલ્લાઓના અબજો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ યોજાશે. વડોદરામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં કર્નલ સોફીયા કુરેશીના પરિવારજનો પણ હાજર રહેશે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે ભાજપાના સ્થાનિક એકમ અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના સ્વાગત માટે સિંદૂરી અને લાલ રંગની સાડીઓ ધારણ કરેલી હજારો મહિલાઓ પણ જોડાઈ છે.
