Mysamachar.in:જામનગર
કોઈ પણ શહેરમાં નાગરિકો ફૂટપાથ પર ચાલી શકે. ફૂટપાથના ઉપયોગથી દુકાનો તથા ઘરોમાં જી શકે, તે માટે તથા આ રાહદારીઓ અકસ્માતનાં ભય વિના, ટ્રાફિકને નડતરરૂપ બન્યા વિના એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકે તે માટે ફૂટપાથ ખૂબ જ અગત્યની બાબત છે. આ ફૂટપાથ પર દબાણો ચલાવી ન લેવાય. જામનગરની વાત કરીએ તો, ઘણાં બધાં એવા જાહેર માર્ગો છે, જ્યાં ફૂટપાથનુંઅસ્તિત્વ જ નથી ! શક્ય તેટલાં વધુ રસ્તાઓની બંને બાજુએ ફૂટપાથ બનવી જોઈએ. આ ઉપરાંત જે ફૂટપાથ પર ધંધાર્થીઓ હંગામી અથવા કાયમી દબાણ સર્જતા હોય તેઓ વિરુદ્ધ કોર્પોરેશને કડક કાર્યવાહી કરવી આવશ્યક છે. આ કાર્યવાહી કરતી વખતે ભેદભાવ ન રાખવો જોઈએ. ભલામણો કચરાટોપલીમાં પધરાવવી જોઈએ.
ઘણાં માર્ગ એવાં પણ હોય છે, જ્યાં ફૂટપાથ પર દબાણો હોય, એ પછીનાં રોડ પર આડેધડ લારીઓ ઉભી હોય ! ટ્રાફિક અવરોધાતો હોય, વારંવાર ટ્રાફિક જામ થતાં હોય, અકસ્માત અને ઝઘડાઓ થતાં હોય– આવાં સ્થળોએ કોર્પોરેશને વિશેષ ધ્યાન આપવું જોઈએ. કસૂરવારો વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જરૂરી છે. ફૂટપાથ રાહદારીનો અધિકાર છે, ફૂટપાથ પૂરી પાડવી- સત્તાવાળાઓની ફરજ છે. આપણે આશા અપેક્ષા રાખીએ, આગામી સમયમાં નગરજનોને સરસ અને અવરોધવિહોણી ફૂટપાથ સમગ્ર શહેરમાં મળી રહે. ફૂટપાથનાં દબાણ ઉપરાંત આવાં સ્થળોએ માર્ગો પર આડેધડ પાર્કિંગ પણ થતાં હોય છે, સત્તાવાળાઓએ આ બધી જ સમસ્યાઓનો ઉપાય કરવો જોઈએ.