Mysamachar.in-જામનગર:
પશ્ચિમ ગુજરાત વીજ કંપની તાજેતરમાં ભારે ચર્ચાઓમાં છે કારણ કે PGVCLના નવા એમડી તરીકે વરુણકુમાર બરનવાલની નિયુક્તિ થઇ છે ત્યારથી તેવો વીજચોરી ડામવા સહિતના PGVCLના સડા ને દુર કરવા સહિતની અસરકારક પગલાઓની કામગીરીને લઈને ચર્ચાઓમાં રહ્યા છે. એવામાં આજે જામનગર PGVCL મીડિયા ગ્રુપમાં એક યાદી મુકવામાં આવી છે, યાદીનો ઉદ્દેશ સારો છે પણ આ યાદીને જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરવાનું કહી અને વીજચોરોને સાવધાન કરવાનું કામ કે મુર્ખામી છે તેવો સવાલ જાણકારોમાં ઉઠ્યો છે, કારણ કે જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે “સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરી મોટા પાયે વીજચોરી પકડી કંપનીનો વીજ લોસ ઘટાડવાનું નક્કી થયેલ અને તેના અનુસંધાને આગામી દિવસોમાં મોટા પાયે વીજ દરોડા પાડવામાં આવનાર છે.”હવે આ બાબત જાહેર કરો એટલે સ્વાભાવિક જ લાંબા સમયથી જે કોઈ વીજચોરી કરનારા હશે જો સાવધાન બની જશે તો વીજચોરી કઈ રીતે ઝડપાશે અને વીજચોરી ડામવાનો લક્ષ્યાંક કઈ રીતે સફળ થશે તેવો સવાલ જાણકારોમાં ચર્ચાઈ રહ્યો છે.?
ખરેખર તિજોરી મજબુત કરવા વીજચોરી ઝડપાવવી જ જોઈએ તેમાં કોઈ બેમત નથી પણ કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક લગત સ્ટાફની મિલીભગતને પગલે વીજચોરીને છાવરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરિણામે ઉપરથી દરોડા આવે તો ઠીક નહિતર ચાલે ત્યાં સુધી બધું ચાલ્યું જાય છે,
એવામાં જાહેર થયેલ યાદીના અંશો પર નજર કરવામાં આવે તો પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ વિજીલન્સ વિભાગ દ્વારા રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોની 100 થી વધુ ઇન્સ્ટોલેશન ચેકિંગ ટીમના ઈજનેરોની તા.19/2/2022 ના રોજ એક દિવસીય વર્કશોપનું પ્રથમવાર આયોજન કરવામાં આવેલ. વીજ ચેકિંગ કરવા અંગેની માહિતી, વિચારોનું આદાન-પ્રદાન, ફિલ્ડમાં રહેતા પ્રશ્નો અને તેનું નિવારણ અંગેની ચર્ચાઓ કરવામાં આવી તો વીજ ચેકિંગમાં સારી પરિણામલક્ષી કામગીરી કરનાર કુલ 17 ચેકિંગ ટીમોને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો હેઠળ મોટાપાયે વીજ જોડાણોના ચેકિંગ હાથ ઘરી વીજ લોસ ઘટાડવામાં આવનાર છે, આ વર્કશોપમાં જુદા જુદા પ્રકારોના વીજજોડાણો ચેકિંગ કરવા, યેકિંગ સમયે જરૂરી પત્રકો તૈયાર કરવા, કોર્ટ મેટર સમયે પુરતી જાણકારીથી ધ્યાન આપવું, માહિતી આધારિત તથા એનાલિસિસ કરીને વધુમાં વધુ વીજ ચોરીઓ પકડવી, ફિલ્ડમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઉભો થાય ઘર્ષણ થાય ત્યારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાવવી વગેરે બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવેલ.વર્કશોપ દરમ્યાન ઘણા ઈજનેરોએ કઠીન પરીસ્થિતમાં મોટી રકમની વીજ ચોરી કેવી રીતે પકડવામાં આવેલ તેના અનુભવ સૌને જણાવેલ. જીયુવીએનેલ વિજીલન્સ વિભાગ, વડોદરાથી આવેલ અધિકારીઓએ પણ જરૂરી માર્ગદર્શન આપેલ.આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરી મોટા પાયે વીજ ચોરી પકડી કંપનીનો વીજ લોસ ઘટાડવાનું નક્કી થયેલ અને તેના અનુસંધાને આગામી દિવસોમાં મોટા પાયે વીજ દરોડા પાડવામાં આવનાર છે.