Mysamachar.in:જામનગર
જામનગરમાં કાલે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શહેરની આણદાબાવા સંસ્થામાં યોજાયેલા ભોજન સમારંભમાં ફૂડ પોઈઝનીંગનો બનાવ બનતાં દોડધામ મચી ગઈ હતી. જીજી હોસ્પિટલમાં આજે સવારે પણ હજૂ 6 બાળકો એડમિટ હોવાનું કોર્પોરેશનનાં આરોગ્ય સતાવાળાઓએ જણાવ્યું છે.
જામનગરની આણદાબાવા સંસ્થામાં કાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત રાત્રિનાં સમયે એક ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં આણદાબાવા સંસ્થા સંચાલિત શાળાનાં બાળકો સહિત અંદાજે 400 જેટલાં લોકોએ ભોજન લીધું હતું. આ ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનીંગનો બનાવ બનતાં સંસ્થામાં તથા જામનગરમાં દોડધામ મચી ગઈ હતી અને આઠ બાળકોની તબિયત લથડતાં હોહા થઈ જવા પામી હતી. આ બાળકોને રાત્રે જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
સોમવારે રાત્રે જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલાં આઠ પૈકી બે બાળકો સ્વસ્થ થતાં બાદમાં તેઓને જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હાલ આ આઠ પૈકી છ બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને તેઓને ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જામનગર કોર્પોરેશનનાં મેડિકલ ઓફિસર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેશનનાં ફૂડ સેફ્ટી ઓફિસર પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને ભોજન સમારંભમાં ઉપયોગમાં લેવામાં આવેલી ખાદ્ય ચીજોના તેઓએ નમૂના પણ લીધાં હોવાનું જાહેર થયું છે. ડો. સુભાષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભોજન સમારંભ બાદ આ આઠ બાળકોને ગભરામણ જોવા મળી હતી અને ઉબકાઓ આવવા લાગ્યા હતાં. ત્યારબાદ આ બાળકોને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
અત્રે નોંધનીય છે કે, કાલે સોમવારે આણદાબાવા સંસ્થામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. દિનભર ભાવિકો અને અનુયાયીઓએ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજનાં દર્શન કર્યા હતાં, નમન કર્યું હતું અને આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રાત્રે આશ્રમમાં ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપરોક્ત ફૂડ પોઈઝનીંગનો બનાવ બનતાં દોડધામ મચી ગઈ હતી અને આશ્રમમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આજે સવારે મળેલાં અહેવાલો જણાવે છે કે, હવે ચિંતાનું કોઈ કારણ રહ્યું નથી. જીજી હોસ્પિટલમાં દાખલ છ બાળકો નિરીક્ષણ હેઠળ હોવાનું ડો. સુભાષ પ્રજાપતિએ જણાવ્યું છે.