Mysamachar.in:જામનગર
જામનગર સ્થિત સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા આયુર્વેદ થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ “સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો – 2023″નું આયોજન તા.18 થી 21 માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેનો સમય સવારે 10 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી રહેશે. આ એકસ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજૂખત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે.
અહીં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ (સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 રહેશે), પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો-વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું માર્ગદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યુ છે જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા વિનામૂલ્યે રહેશે.
આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જામનગર દ્વારા આ બાબતને અનુમોદન આપવા અર્થે “હૅલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો – 2023″નું આયોજન કર્યુ છે. હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો 2023 એ આયુર્વેદ અને મિલેટ્સ થી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીનું સૌપ્રથમ આયોજન થવા જઇ રહ્યું છે. આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ઘરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનુ માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નીવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે આ એકસ્પો સર્વે જનતા માટે વિશેષ કરીને ગૃહિણી, વિધાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ધડવા માટે ઇચ્છુકો, વૈદ્યો અને ફાર્માસીસ્ટ તેમજ આરોગ્ય પ્રત્યે સતત જાગરૂક રહેનાર લોકો માટે લાભકારી સાબિત થશે તેનું આઇ.ટી આર.એ ના ડાયરેક્ટર પ્રો. વૈદ અનૂપ ઠાકર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં મિલેટ્સ આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓને આકાર આપવામાં આવ્યો છે.
મિલેટ્સ – જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે તેને કેન્દ્રવર્તી બનાવી આઈ.ટી.આર.એ.ના ફાર્મસી કોલેજના વિધાર્થી દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ 500 જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી 200 જેટલી વાનગી છણાવટ કરી તેને લાઈવ તૈયાર કરવામાં આવી હતી બાદમાં તેમાથી 86 વાનગીને પસંદ કરી મુલાકતીઓને ઉપલબ્ધ બને તે હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત 80 જેટલી પેકેટ ફૂડ આઇટમ પણ મિલેટ્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી છે. આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલેટ્સના ગુણોને જોડવામાં આવ્યા છે.
આ વાનગીઓમાં મિલેટ્સ આધારિત સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ, હોટ-કોલ્ડ ડ્રિંકસ અને આઇસ્ક્રીમ જેવી કેટેગરીમાં તૈયાર કરવામાં આવી છે. વિવિધ વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સ દહીંવડા, રાગી-જૂવાર બાજરા ખીચું, મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જૂવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા મિલેટ્સ નાયોઝ, મિલેટ્સની વિવિધ ખીચડી, સરગમના જાંબુ મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડ્રિંકસ અને સ્મૂધીઝ, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોજીતો, સત્તુ સરબત કોરિઅન્ડર કોકટેલ, મેધ્ય મિલક શેક, કો-ટા ડ્રિન્ક, ઠંડાઈ, રાગી- બનાના સ્મર્ચીઝ, કોકમ પાનક, વૃક્ષામ્લ પાનક, લેમન વરિયાળી શિકંજી, સ્કિન ગ્લો શોટ્સ મસાલા પટ્ટ, મોમોસ, આયુ પિઝા, રાગી ઇડલી, મિલેટ્સ પૂડલા, મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ, મિલેટ્સ પાણીપૂરી મિલેટ્સ ટિક્કી, મોરિંગા સૂપ, કોદો ખીચડી, પ્રોટીન ચાટ, મિલેટ્સ આધારિત ગરમ અને ઠંડી ચા-કોફી, અને મિલેટ્સનો આઇસ્ક્રીમ પણ વિધાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા છે.
વધુમાં પેકેટ ફૂડ આઇટમ્સમાં ખાખરા, બિસ્કિટ, કૂકીઝ, બરફી, ફરસાણ સહિતની 80 સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર વાનગીને આકાર આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વખત આ પ્રકારનો હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો થવા જય રહ્યો છે ત્યારે વાનગી પ્રત્યે દીવાનગી ધરાવનારા લોકો માટે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે અભૂતપૂર્વ લ્હાવો મળી રહેશે.