Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને ઘણાં બધાં લોકોના મોત થઈ રહ્યા છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત પણ બની રહ્યા છે. સમગ્ર રાજયમાં અકસ્માતનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે. દરમિયાન, જામનગર જિલ્લા માર્ગ સલામતી સમિતિની તાજેતરની બેઠકમાં પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત થઈ છે અને માર્ગ સલામતી માટે કેટલાંક ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને નિર્ણય લેવામાં આવ્યા છે. આ સળવળાટ પ્રથમ વખત જોવા મળે છે પરંતુ આવકારદાયક નિર્ણયો લેવાયા છે જે માર્ગ સલામતી મજબૂત બનાવવાની દિશામાં સારી પહેલ પૂરવાર થશે.
જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. તાજેતરમાં, આશાપુરા માતાના મઢ તરફ જતા પદયાત્રીઓને જામનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા રેડિયમ સેફટી કીટ અર્પણ કરાઈ હતી, જેથી અકસ્માતનો ખતરો ટળી શકે.
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કલેકટરએ જણાવ્યું હતું કે, જામનગર શહેર વિસ્તારમાં અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાત રસ્તા, ગુરુદ્વારા ચોકડી, સયાજી હોટેલ અને અંબર ચોકડી પાસે રેડિયમ ટેપ, ડિવાઈડર અને નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જનજાગૃતિના 19 કાર્યક્રમોમાં 2223 જેટલા લાભાર્થીઓને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી, સાંઢિયા પૂલ, લાલપુર ચોકડી અને મોરકંડા ચોકડી પાસે રોડનું રિસર્ફેસિંગ કામ, થર્મોપ્લાસ્ટ માર્કિંગ, ફીલિંગ વર્ક અને ક્રેશ બેરિયર્સ મુકવાનું કામ કરવામાં આવશે. જામનગર-લાલપુર હાઈવે પર રેડિયમ સ્ટ્રીપ્સ અને સ્ટ્રીટ લાઇટ્સ મુકવામાં આવશે.
આ બેઠકમાં, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હારુન ભાયા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા શિક્ષણધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.
-આ સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન આપવું આવશ્યક..
જામનગર શહેર અને જિલ્લામાં નાની ઉંમરના છોકરાંઓ અને છોકરીઓ વાહન ચલાવતા હોવાનું પ્રમાણ વધી ગયું છે. આ પ્રકારના વાહનચાલકો પૈકી મોટાભાગના ટ્રાફિક નિયમોથી અજાણ હોય છે અને આડેધડ તથા બેફામ ગતિએ વાહનો ચલાવતાં જોવા મળે છે જેથી અકસ્માતોની સંખ્યા વધતી હોય છે, આ ઉપરાંત શાળાઓના બાળકોને લેવા તથા મૂકવા જતાં રિક્ષાઓ અને ફોર વ્હીલર વાહનોમાં બાળકોને ઓવરલોડ સંખ્યામાં ખીચોખીચ ભરવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધની જરૂર છે. જામનગર શહેર આસપાસના હાઈવે સહિત સમગ્ર જિલ્લામાં અવરજવર કરતાં ઈકો અને તૂફાન જિપ જેવા વાહનો પર પણ નિયંત્રણ અને દેખરેખ આવશ્યક છે. આ પ્રકારના વાહનો બેફામ ગતિએ દોડતાં હોય છે અને તેમાં મુસાફરો પણ ઓવરલોડ ભરવામાં આવે છે. વાહનચાલક ખુદ વ્યવસ્થિત ન બેઠો હોય તેવી રીતે મુસાફરો ભરવામાં આવતા હોય અકસ્માતની સંખ્યા વધી જતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓ અંગે પણ તંત્રો વધુ ચિંતાઓ કરે તે આવશ્યક લેખાશે.