Mysamachar.in:જામનગર
વરસાદની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો સમગ્ર રાજયમાં કોરો એટલે કે સૂકો પસાર થઈ રહ્યો છે પરંતુ સૌ જાણે છે એમ ગત જૂલાઈ મહિનો જબરો ભીનો પૂરવાર થયો હતો. અને ગુજરાતમાં કેટલાંક પ્રદેશોમાં વરસાદની હજુ સારી એવી ખાધ છે પરંતુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જો કે તો પણ જામનગર જિલ્લામાં પાકોને ખાસ નુકસાન થયું નથી, એમ આંકડા કહે છે.
જામનગર, જૂનાગઢ અને પોરબંદર સહિતનાં પાંચ જિલ્લાઓમાં પાક નુકસાન સર્વે હાથ ધરવા થોડાં સમય પહેલાં સરકારે તંત્રોને કહેલું. પોરબંદરમાં સર્વે પૂર્ણ થયો નથી પરંતુ જામનગર અને જૂનાગઢ સહિતનાં જિલ્લાઓમાં સર્વે પૂર્ણ પણ થઈ ચૂકયો છે. જૂનાગઢનાં આંકડા નોંધપાત્ર પાક નુકસાન દેખાડે છે પરંતુ જામનગરમાં નુકસાન નથી થયું એમ કહીએ તો પણ ચાલે, એ મતલબનાં આંકડા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર થયા છે.
Mysamachar.in દ્વારા આજે જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ વરસાદને કારણે પાક નુકસાન સંબંધે જણાવ્યું છે કે, જિલ્લામાં કુલ 3.49 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી 101 હેક્ટર જમીન પર ઉભેલાં પાકોમાં જેતે સમયે ભારે વરસાદને કારણે નુકસાન થયું છે એવું ખેતીવાડી વિભાગનાં રેકર્ડ પર નોંધાયું છે. રાજય સરકારની નીતિ અનુસાર જે ખેડૂતનાં પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તેને જ નુકસાન સહાય મળવાપાત્ર લેખાય છે.
જામનગર જિલ્લામાં જૂલાઈનાં વરસાદ દરમિયાન વાવેતર ચાલુ હતું. એટલે બિયારણનાં સામાન્ય નુકસાનને ભૂલી જઈ ખેડૂતોએ નવેસરથી વાવેતર કરી લીધું હતું. અને આ પ્રકારનાં કારણોથી જામનગર જિલ્લામાં વરસાદને કારણે ખાસ કોઈ પાક નુકસાન થવા પામ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં સરકાર દરેક જિલ્લામાંથી પાક નુકસાન સર્વેનાં આંકડા મેળવી રહી છે. ત્યારબાદ સહાય નક્કી થશે. સરકાર (આગામી લોકસભા ચૂંટણીઓ ધ્યાનમાં રાખી) પાક નુકસાન સહાયની બાબતમાં આ વખતે વધુ ઉદારતા દાખવે એવી પણ એક શકયતા ચર્ચાઈ રહી છે.
સરકાર જામનગર સહિતનાં જિલ્લાઓ માટે SDRF નાં નિયમો કરતાં પણ વધુ પાક નુકસાન સહાય આપશે એવું સમજાઈ રહ્યું છે. જો કે હાલ તો જામનગર સહિત બધાં જિલ્લાઓ SDRF નાં નિયમો અનુસાર ગ્રાન્ટ ડિમાંડ કરશે. જામનગર જિલ્લો આગામી સોમવારે ગ્રાન્ટ ડિમાંડ કરશે. જામનગર જિલ્લામાં માત્ર લાલપુર અને જામજોધપુર તાલુકાઓનાં ખેડૂતોએ પાક નુકસાન સહાય માટે રજૂઆતો કરેલી. સરકાર તરફથી જિલ્લામાં સેલ્ફ સર્વે કરવામાં આવ્યો નથી. માત્ર રજૂઆતો પર જ ધ્યાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાલાવડ તાલુકામાં પણ ઓછાં દિવસોમાં સારો વરસાદ થયો હતો. જો કે ખેતીવાડી વિભાગ કહે છે કે જિલ્લામાં આ વરસે વરસાદનું પ્રમાણ પાકો માટે ચિંતાપ્રેરક રહ્યું નથી.