Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાનો જામજોધપુર પંથક વીજચોરી અને ખનીજચોરી માટે કુખ્યાત બનવા તરફ મંડાણ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, આ વિસ્તારમાં ખાસ કરીને સફેદ પથ્થરોનું ખનીજ મબલખ છે તેવામાં આકાઓના આશીર્વાદથી ખનીજચોરી કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ સરકારને ડબલ ચૂનો ચોપડવાના ભાગરૂપે ગેરકાયદેસર ખનીજ ખનન કરવા માટે ગેરકાયદેસર વીજપ્રવાહ મેળવી એટલે કે વીજચોરી પણ કરવામાં આવી રહી છે, અને આવું જામજોધપુર પંથકમાં પ્રથમ વખત સામે નથી આવ્યું આવું અગાઉ પણ સામે આવી ચુક્યું કે પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર નાખી અને ગેરકાયદે વીજચોરી કરવામાં આવી રહી હોય એક કરોડથી વધુની વીજચોરી સામે આવી હતી એવામાં વધુ એક વખત ડાયરેક્ટ વીજજોડાણ મેળવવાનો એક મામલો સામે આવતા અડધા કરોડનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.
રાજકોટ પીજીવીસીએલના વિજીલન્સ વિભાગ અને જામજોધપુર કાર્યપાલક ઇજનેરની રાજકોટ-જામનગરની 4 ચેકિંગ સ્કવોડ દ્વારા માલવડા નેસ પંથકમાં મોડી રાત્રે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વિજ તંત્રે એક પથ્થરની ખાણમાં ડાયરેકટ હુંકીંગ કરી અનઅધિકૃત રીતે જોડાણ કરી વીજવપરાશ માલુમ પડતા સંબંધિત આસામીને રૂ.54.81 લાખનુ દંડનીય બિલ ફટકાર્યુ છે.વીજ ચેકીંગ ટીમોને એક પથ્થરની ખાણમાં 11 કેવી લાઇનમાં ડાયરેકટ હુકીંગ કરી,બિન અધિકૃત ટ્રાન્સફોર્મર જોડાણ કરી,ખાણમાં વીજવપરાશની મશીનરી જોડાયેલા 37.770 કી.વો. લોડમાં બિન અધિકૃત વિજ વપરાશ માલુમ પડયો હતો. આ મામલે વિજ ચેકીંગ ટીમે આસામી થડાભાઇ નથુભાઇ વૈશ તથા ભોજાભાઇ અમરાભાઇ વૈશ વિરૂધ્ધ કાર્યવાહી કરી સ્થળ પરથી વિજ ચોરીમાં વપરાયેલા ટ્રાન્સફોર્મર તેમજ વિજ વાયરો જપ્ત લઇ આસામીને રૂ.54.81 લાખનુ પુરવણી બીલ ઇસ્યુ કર્યુ હતુ.જયારે પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.